________________
૨૦૨
ધ્યાન અને જીવન
જોઈએ. તે એવી કે એની આગળ પછી પોતાનું સ્વમાન પણ કોડીનું લાગે. નહિતર તો જો સ્વમાન નડતું રહે તો તો ભયંકર પણ પાપ સાધુ આગળ કહેવાનું મન ન થાય. કોણ ભયંકર ? પાપશલ્ય કે સ્વમાન ? :
ત્યારે, શું માણસની એ મૂર્ખાઈ નથી કે પાપ આચર્યાનું જેટલું ખરાબ ન લાગે એટલું પોતાનું માન ઘવાય એ ખરાબ લાગે ? જીવને ભાન નથી કે ‘તારા મનની શી બહુ કિંમત છે ? ગમે તેટલું સ્વમાન સાચવ. પરંતુ જો બીજી બાજુ કોઈ એવા અપયશનામ કર્મનો ઉદય જાગ્યો તો લોકમાં ફિટ્ ફિટ્ થઈશ, એ વખતે તારું માન ક્યાં રહેવાનું ?' સીતા ગમે તેટલા સારા હતા પણ એમના પૂર્વોપાર્જિત અશુભ કર્મના ઉદયે એમની પણ હલકાઈ થઈ અને જંગલમાં મુકાવું પડ્યું. માન ક્યાં રહ્યું ?
માટે સ્વમાન ઘવાવાના ભયમાં પાપાચરણ ગુરુને ન કહેતાં એનાં શલ્ય દિલમાં રાખી મૂકી પરલોક જશો ત્યાં કેવી ભયાનકતા સર્જાશે એનો કોઈ ભય નથી ? સમજી રાખો - અહીં જરા માન ઘવાય એનું દુઃખ તો બહુ ઓછું, પણ પરલોકે પાપનાં ફળ ભયંકર !
પાપશલ્યોના યોગે તો બેવડી વિટંબણા થાય છે.
એક બાજુ પૂર્વનાં પાપાચરણથી બંધાયેલા ઘોર અશુભ કર્મને લીધે દુઃખ-ત્રાસ-પીડાનો પાર નહિ ! અને બીજી બાજુ હૈયામાં ઘાલી લઈ આવેલ પાપશલ્યના પ્રતાપે પાપબુદ્ધિ-દુર્બુદ્ધિની સીમા નહિ ! કેવું ક્ણ જીવન ? દુઃખ ભોગવતાં છતાં પાપબુદ્ધિ છૂટે નહિ ! પાછી મુસીબત તો એ, કે બીજા જનમમાં પૂર્વનાં પાપાચરણ યાદ આવે નહિ, એટલે હવે શી રીતે ત્યાં એને ગુરુ આગળ કહી બતાવી એ પાપનાં શલ્ય પોતાના દિલમાંથી કાઢી નાખે ? એટલે જ સારો રસ્તો આ છે કે આ જીવનનાં પાપાચરણ દિલમાં શલ્યરૂપે બની ચોંટી ન જાય અને પરભવે એ અસાધ્ય રોગ જેવા ન બની જાય, એટલા માટે અહીં જ એ પાપાચરણને યોગ્ય ગુરુ આગળ ભારે ખેદ સાથે કહી દેવાં, જેથી દિલમાં ગુપ્ત શલ્યરૂપે એ રહે નહિ. ત્યાં સ્વમાનની પરવા ન કરવી કે ‘ગુરુ મને અધમ ગણશે તો ?' યાદ રહે -
શલ્યરહિત જ માણસને અંતકાળે સમાધિ રહે છે.
દિલમાં શલ્ય પડ્યા હોય તો તો એ જીવને કરડ્યા કરવાના. ત્યાં ચિત્તની સ્વસ્થતા ક્યાંથી રહે ? મુશ્કેલી તો પાછી એ ઊભી રહે કે જીવમાં સેવેલાં કેટલાં ય પાપકૃત્ય, પાપશબ્દ અને પાપ વિચારો અંતકાળ આવતા સુધીમાં ભુલાઈ ગયા હોય છે ! એટલે જો પાછળથી એને ગુરુ આગળ કહેવાનું રાખ્યું હોય તો યાદ જ ન આવવાથી કહી શું શકે ? અને ન કહી શકે એટલે એનાં છૂપા શલ્ય દિલમાં અકબંધ પડ્યા રહેવાના. માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org