________________
ઈલાચીપુત્ર
ઈલાચી પુત્રના પ્રસંગની ખબર છે ને કે એ વૈરાગ્ય કેમ પામ્યો ? સારું નિમિત્ત મળવા પર. પહેલાં તો એ રૂપાળી નટડીના સૌંદર્યમાં લુબ્ધ બન્યો છે. એની ખાતર પોતાની જાત-કુળ-ખાનદાનીનો કોઈ વિચાર રાખ્યો નહિ. શ્રીમંત ઘર છોડ્યું, મા છોડી, બાપ છોડ્યા, બાપે સારા સુખી ઘરની કન્યા લાવી આપવા કહ્યું તે ય ન ગણ્યું અને નટના પરિવારમાં દાખલ થયો ! નટડી પરણવા નટના ખેલ શીખ્યો અને લગ્નવિધિમાં જરૂરી મોટી રકમ દાનમાં મળે એટલા માટે એકવાર રાજા અને શેઠ-શાહુકારો આગળ ખેલ કરે છે, વીસેક હાથ ઉંચા વાંસ પર બાંધેલા દોરડા પર નોધારો નાચે છે.
રાજા દાન નથી આપતો અને કહે છે, મેં બરાબર ખેલ જોયો નહિ, ફરીથી નાચ.' ફરી નાચ્યો, નાચીને દાન માગે છે તો ય રાજા એ જ શબ્દો કહી એને ફરીથી નચાવે છે. કેમ એમ ? રાજા પણ રૂપાળી નટડીમાં લુબ્ધ બન્યો છે એટલે વિચારે છે કે ‘જો નટ એમ નોધારો નાચતાં થાકી લથડીને પડે અને મરે, તો નટડી હાથ કરી લઉં.'
જુઓ મોહની વિટંબણા ! ઈલાચી પુત્ર હલકી નટની જાતિમાં ભળ્યો. પૂર્વે જ આવું બનતું ? ના, આજે પણ બને છે. ઈંગ્લાન્ડના અમીર કુટુંબના રાજા આઠમા એડવર્ડ બ્રિટનની રાજ્યગાદી છોડી લેડી સીમ્પસેનને વહાલી કરી ! થોડા વરસ પહેલાં સમાજના એક આગેવાનની પુત્રી ક્રિશ્ચિયનને પરણી ગઈ. મોહની વિટંબણા ભૂંડી છે. કૂતરા-ગધેડાને તો નચાવે, પણ માણસ જેવા માણસને ય મોહ નચાવે છે. જનાવરની જેમ એને ય ખબર નથી પડતી કે
આ કોઈ મારો આત્મ-સ્વભાવ નથી. આ તો ખોટી ખણજ છે. આમાં તો મારી વિટંબણા થઈ રહી છે. હું જો જરા સ્વસ્થ બનું તો મારે વળી આ ઘેલી લાગણીથી વિડંબાનું શું ? એના કરતાં પરમાત્મ-પ્રીતિના રંગ-રસ જ ન અનુભવું ?’
પણ આ ખબર પડે જ ક્યાંથી ? મૂઢ જીવને અંતરમાં મોહની વિટંબણા ભારે. જો આ ન હોય તો પરણે શું કામ ? પરણ્યો નથી ત્યાં સુધી સ્વતંત્ર છે, ફાવે ત્યાં હરે-ફરે, કામ કરે ન કરે. પણ પરણીને બંધાય છે, ગુલામી વહોરે છે, ફોગટ પારકી કન્યાની જીવનભરની જવાબદારી પોતે માથે લે છે. શા સારુ ? મોહની ખણજના લીધે, કામરાગની પરવશતાને લીધે, વિટંબણા જ વહોરે છે ને ?
અહીં રાજા મોહની વિટંબણા વહોરે છે. નટડી જોઈએ છે તેથી નટ-ઈલાચી પુત્રનું મૃત્યુ તાકી રહ્યો છે. એટલે ત્રીજી વાર નટને કહે છે, ‘મારું ધ્યાન ન રહ્યું, તું ફરીથી નાચ. એ જોઈને સારું ઈનામ આપીશ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org