________________
ધ્યાન અને જીવન
૧૪૭
સંપત્તિ મળ્યાનો ઉન્માદ નહિ, આપત્તિ આવ્યાનો કલ્પાંત નહિ. કેવી રીતે ?
એ સમજે છે કે
-
(૧) સંપત્તિ-આપત્તિ નાશવંત છે. પોતાનો આત્મા અવિનાશી છે. અવિનાશી આત્માને નાશવંતના હરખ-ખેદ શા ? કેમકે આત્માને તો એ મૂકીને ચાલતું થવાનું છે.
(૨) બાહ્ય સંપત્તિ આપત્તિ પૂર્વ કર્મનું ફળ છે. કર્માધીન વસ્તુમાં રાગ-દ્વેષ કે હર્ષ ખેદની દરમ્યાનગીરી શા સારુ લાવવી ? એને વચમાં લાવવામાં કઈ બુદ્ધિમત્તા ? કેમકે આપણા રાગ દ્વેષ કરવા પર કાંઈ કર્મ અનુકૂળ નથી વર્તતાં. એ તો એનું સ્વતંત્રપણે ચલાવ્યે જ જાય છે. પછી આપણા ફુલાવા-કરમાવાનો શો અર્થ ? અનુકૂળતા પર ફુલાઓ, પણ પછી કર્મ વાંકા ચાલે તો અનુકૂળતા ઉપડી જાય ને પ્રતિકુળતા આવીને ઊભી રહે, ત્યાં ફુલાવાનું ફૂલ ! તો ફુલાવાનું શું કામ લાગ્યું ? એમ, પ્રતિકુળતા પર કરમાઓ, રુઓ, કિન્તુ શુભ કર્મ ઉદયમાં આવીને ઊભા, તો પ્રતિકૂળતા પલાયન, ને અનુકૂળતા અણધારી આવી ચડે, ત્યારે પેલું કરમાયા, રોયા, એ મફતનું જ ને ? ધવલ શેઠે શ્રીપાળને દરિયામાં પાડ્યા હતા, પરંતુ શ્રીપાળ જરા ય કરમાયા નહિ, રોવા ન બેઠા, તો શું અનુકૂળતા ન આવી ?
(૧) શું એવો નિયમ ખરો કે આપત્તિમાં ખેદ કરે, રુએ, એને આપત્તિ ઝટ ચાલી જાય ? અને ન રુએ તો ન જાય ? ના. એમ,
(૨) શું એવો નિયમ બાંધી શકાય ખરો કે સંપત્તિ-અનુકૂળતામાં ખુશી થાય એને એ ટકી જ રહે ? ના,
બેમાંથી એકે ય નિયમ નહિ. કેમકે એવું બને કે (૧) જીવ સંપત્તિ અનુકૂળતામાં હરખાતો રહે અને એ ચાલી ય જાય ! ધવલ પાંચસો વહાણ પર બહુ હરખાતો હતો અને બાકી બબ્બર દ્વીપના રાજાના સિપાઈઓએ એનું બધું જપ્ત કરી એને પકડી કેદ કર્યો ! ક્યાં રહી હવે પાંચસો વહાણની માલિકી ?
(૨) ત્યારે, માણસ આપત્તિમાં રોતો રહે છતાં એ ન ખસે અને ન રુએ છતાં એ ચાલી ય જાય ! કેમ એમ ? કહો,
સંપત્તિ-આપત્તિનો મુખ્ય આધાર શુભ-અશુભ કર્મના ઉદય પર છે.
શ્રીપાળકુમારને દરિયામાં પડી જવાની ઘોર આપત્તિ આવી, પરંતુ જેનાં શુભ કર્મ સાબૂત એને આપત્તિ કેટલો વખત રહે ? ઝટ ત્યાં મગરમચ્છ ઝીલી લેવા તૈયાર છે ! કેમ જાણે ‘હું નવ પદના સેવકનો સેવક છું' એ રીતે શ્રીપાળને એણે પીઠ પર ઝીલ્યા અને મછવાની જેમ એ ચાલ્યો આગળ થાણા બંદરના કિનારા તરફ ! કિનારે જઈ ઊભો અને શ્રીપાળ ઊતરી ચાલ્યા થાણા તરફ વિશ્રાન્તિ માટે, વચમાં સૂતા ઝાડ નીચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org