________________
૧૨૪ ધ્યાન અને જીવન
હાથી આ સમજીને અત્યારથી જ આર્તધ્યાન અટકાવે છે. એનું સુખદ ફળ એ આવીને ઊભું રહ્યું કે અંતકાળે મહાઆપત્તિની ભયંકર વેદનામાં ય આર્તધ્યાનને આધું રાખી સુંદર સમાધિ અને સુંદર ધર્મધ્યાનમાં એ ઝીલ્યો ! ગ્રીષ્મના તાપમાં તરસ્યો થયે તળાવમાં ઉતર્યો, પણ કીચડમાં ખૂંચ્યો, પેલા કમઠનો જીવ અહીં સર્પરૂપે થયેલ, તે એના શરીર પર ચડી જઈ મર્મસ્થાને ડંસ દે છે. કારમી વેદના સળગી ઊઠી ! પરંતુ આર્તધ્યાન અટકાવી અટકાવી શુભધ્યાનના સારા અભ્યાસી બનેલા આ તિર્યંચ પણ હાથીએ આ ભયંકર વેદનામાં ય શુભ ધ્યાનનો જ ખપ રાખ્યો. ‘મારા જ કર્મનો આ વિપાક છે. સાપનો શો દોષ દઉં ? એ બિચારો તો દયાપાત્ર છે કે પાપે પેટ ભરી રહ્યો છે, જેનું ફળ એને બિચારાને મહાદુઃખ આવશે ! બાકી મારાં કર્મ તો અકાટ્ય છે, ભોગવ્યા વિના જાય જ નહિ, કપાય જ નહિ, તો આવી નિર્ધારિત અનિવાર્ય કર્મ-પીડાની શી ચિંતા કરવી ? એ મૂકી પરમેષ્ઠી પરમાત્માનું જ ધ્યાન કરવા દે.' નમસ્કાર-મહામંત્રના સ્મરણમાં મૃત્યુ પામી સ્વર્ગમાં પહોંચી ગયો.
મરુભૂતિના ઉંચા માનવભવમાં આર્તધ્યાને મરતાં તિર્યંચનો જનમ મળ્યો, હલકા તિર્યંચ હાથીના ભવમાં શુભધ્યાને મરતાં દેવનો અવતાર મળ્યો, કેટલો મોટો ફરક ? પરંતુ આટલું લક્ષ રાખવાનું કે જીવનમાં બહુ બહુ વાર શુભ ધ્યાનનો અભ્યાસ પાડ્યો હોય, વારે વારે આર્તધ્યાન અટકાવ્યાં હોય, તો એ અભ્યાસ અંતસમયે ઉપયોગી થાય અને આર્તધ્યાનને અટકાવી શુભધ્યાનમાં મન પરોવી દેવાય. પછી ત્યાં વેદનાનો હિસાબ નથી કે ‘વેદના હોય પછી મન કેમ આર્તધ્યાન ન કરે ?' ન કરે, કેમકે જીવન જીવતાં રોગની સામાન્ય વેદના વખતે આર્તધ્યાન અટકાવવાનો અભ્યાસ પાડ્યો છે.
વેદનામાં આર્તધ્યાન કેમ અટકે ? :
રોગની વેદના આવી, વૈદ-ડાક્ટરને શોધવો પડે છે, દવા પથ્ય વગેરેની ચિંતા રાખવી પડે છે, છતાં જો આવડત હોય તો આર્તધ્યાન અટકી શકે છે. એ માટે અહીં શાસ્ત્રમાં મુનિ અંગે જે વિચાર કરવામાં આવ્યો છે તે ઉપયોગી છે. પ્રશ્ન કરવામાં આવ્યો કે મુનિ બિમાર પડે છે તો તે ય વૈદનો આશ્રય લે છે અને દવા-ઉપચાર કરે છે, છતાં એમને આર્તધ્યાન કેમ નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org