________________
૧૬. રાગને કેમ હંફાવવો ?
જૈનશાસનની નિષ્પક્ષપાત વાતો :
જુઓ પુષ્પચૂલાને ઉપદેશ કરી મહાપાપમાંથી છોડાવીને સંયમમાં લાવનાર કોણ છે ? આ આચાર્ય મહારાજ છે. શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા અને દીર્ઘકાળ સંયમ પાળનાર આચાર્ય ભગવંત ગુરુ છે. છતાં ગુરુ આચાર્યદેવ રહ્યા છદ્મસ્થતાની ધરતી પર અને શિષ્યા પુષ્પચૂલા સાધ્વી ઉપડ્યા વીતરાગ-સર્વજ્ઞતાના આસમાનમાં ! શાના બળે ? રાગ-દ્વેષ-મોહને હંફાવવા ૫૨. એમણે (૧) તો પોતાના ભાઈને જ પતિ કરવાના ઘોર પાપના પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત રૂપે, તેમજ (૨) બીજું એક જ નગરમાં રહેવું પડવાથી સંયમને ખૂબ જ તેજસ્વી બનતું રાખવાના ઉદ્યમ રૂપે, જ્વલંત વૈરાગ્ય, ત્યાગ, તપ વગેરેથી જે જે આંતિરક શુદ્ધ પરિણતિ વિકસાવી અને એથી રાગ-દ્વેષ-મોહ વગેરે તામસીભાવોનું કૂટિયું કર્યે ગયા, એથી, ભલે એ નવા શિષ્યા સાધ્વી હતા, છતાં એમણે કેવળજ્ઞાન ઉપાર્જ્યું ! ત્યારે ગુરુ અર્ણિકાપુત્ર આચાર્યને એવા આંતર પુરૂષાર્થથી હજી વાર લાગી તો એ હજી છદ્મસ્થ છે ! પહેલાં ગુરુ તરે ? કે શિષ્ય તરે ?
મળેલા હકનું આશ્વાસન અને પ્રોત્સાહન :
જૈનશાસનની આ નિષ્પક્ષપાત રજુઆત જોવા જેવી છે. એ માણસને કોઈપણ અવસ્થામાં આશ્વાસન ને પ્રોત્સાહન આપે છે. એ કહે છે, ‘તમે બાળ હો કે બુઢ્ઢા, સ્ત્રી હો કે પુરુષ, શિષ્ય હો કે ગુરુ, સાજા હો કે બિમાર, કીર્તિમાન હો યા નહિ, વિદ્વાન હો યા નહિ, આશ્રિત હો કે આશ્રયદાતા... ગમે તે હો, પરંતુ તમને રાગ-દ્વેષ-મોહના તામસભાવોને પહેલા કચ૨વાનો સંપૂર્ણ હક છે. હકનો ઉપયોગ કરવો જોઈએ, શક્તિને કામે લગાડવી જોઈએ, તો તમે ગુણસ્થાનકના ઊંચા પગથિયાં ચડી શકો છો, ચડતાં ચડતાં ઠેઠ વીતરાગ-સર્વજ્ઞ થઈ શકો છો.' કેવું સુંદર આશ્વાસન ! કેવું સુંદર પ્રોત્સાહન !
અર્ણિકાપુત્ર આચાર્ય પૂછે છે, ‘હજી મારે કેટલા ભવ ભટકવાનું છે ?’ સાધ્વીજી કહે છે, ‘તમે ચરમ શરીરી છો, આ ભવમાં જ મુક્તિગામી.’ આચાર્ય મહારાજ આશ્ચર્ય પામે છે ! કહે છે, ‘હેં ? હું ચરમ શરીરી ? મને ક્યારે કેવળજ્ઞાન ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org