________________
તત્ત્વપ્રાપ્તિનિશ્ચયમાર્ગે થાય છે, છતાં વ્યવહાર બહુ કામનો છે -
પ્ર. - તો જો તત્ત્વની પ્રાપ્તિ નિશ્ચયથી થાય છે, તો પછી વ્યવહારનું કામેય શું છે?
ઉ. :- અરે, ભલાભાઈ ! પણ એ તો વિચાર કરો કે પહેલું તો આ નિશ્ચય તમને બતાવનાર કોણ છે ? જૈનશાસન ને ? એ વ્યવહાર માર્ગ વિના આજ સુધી ચાલી આવત ખરું? જે જૈનશાસન શ્રી તીર્થકર ભગવાને ઉપદેશ્ય, સ્થાપ્યું અને એ દ્વારા જગતને સત્ય તત્ત્વનું દર્શન કરાવ્યું, એ જિનશાસનનો પ્રવાહ આજસુધી જગત પર ચાલ્યો આવ્યો, તે શી રીતે ? કહો કે પ્રભુએ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકોનો ચતુર્વિધ સંઘ નક્કી કર્યો. એ સંઘને માટે આંતરિક આત્મવિકાસ ઉપરાંત બાહ્યથી તેને માટે ઉચિત ધાર્મિક આચારોઅનુષ્ઠાનો, વ્રત-ક્રિયાઓ વગેરે નક્કી કર્યા અને શ્રી સંઘે તે પ્રમાણે વર્તવાનું ઉઠાવી લીધું તેથી શાસન ચાલી આવ્યું છે. એમાં સંઘ પૈકીના જૂના જૂના સાધુના ઉપદેશરૂપ વ્યવહાર, તથા જિનના અનુયાયીઓ અને આરાધકોના બાહ્ય ધર્મવ્યવહાર જોઈ જોઈને નવા નવા અનુયાયીઓ અને આરાધકો તૈયાર થતા ચાલ્યા. એમ વ્યવહાર પર સંઘ પ્રવાહ ચાલ્યો આવ્યો; જિનશાસનની ધારા વહી આવી. હજી પણ વ્યવહાર પર જ ધારા ચાલુ રહેશે. પૂર્વની તેજસ્વી બુદ્ધિના કાળે કેવળ મુખપાઠથી સૂત્રવાચનાનો વ્યવહાર ચાલ્યો, તે પછી લખેલા પૂસ્તકોના આધારે ભણવા-ભણાવવાનો વ્યવહાર ચાલ્યો. આ રીતે વ્યવહારના બળ ઉપર શ્રીજિનશાસન, જિનસંઘ, જિન આગમ અવિચ્છિન્ન પ્રવાહે ચાલી આવ્યા છે; ત્યારે જ આજે “જૈન ધર્મ શું’, ‘તત્ત્વો શું', “મોક્ષના ઉપાય શું નિશ્ચય વ્યવહાર શું' - ઈત્યાદિ જાણવા મળે છે. એના પર જ વિચાર થાય છે કે નિશ્ચય માનવો કે વ્યવહાર ? વ્યવહારથી આટલે સુધી આવી ચઢ્યા છો તો જ કહો છો “નિશ્ચયથી તત્ત્વની પ્રાપ્તિ થશે; વ્યવહારનું શું કામ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org