________________
૧૩૯
દ્રવ્યના માનેલા અસત્ સ્વાતંત્ર્યનું ખંડન કરનારી દલીલો - (૧) કર્મયુગલના બરાબર તેવા તેવા સમ્યક્ત્વરોધક, જ્ઞાનરોધક, વિરતિરોધક, વગેરે જુદા જુદા સ્વભાવ કેવી રીતે કહેવાય ? શું પોતાનામાં કોઈ સમ્યકત્વ-જ્ઞાન-વિરતિ વગેરે ગુણો છે કે એના પોતે રોધક, આવારક બને ? એ તો આત્માને તે તે ગુણ છે. તેને એ રોકે છે માટે તો એનામાં તેવા તેવા જુદા જુદા સ્વભાવ કહેવાય છે. નહિતર તો અજ્ઞાન દર્શનવાળાઓએ માન્યું તેમ ભાગ્યના-કર્મના માત્ર બે ભેદ પડત. એક સારો અને બીજો ખરાબ. એના બદલે કર્મના મૂળ આઠ ભેદ જ્ઞાનાવરણ, ને દર્શનાવરણ, ને વેદનીય, ને મોહનીય... વગેરે. પાછા એના ઉત્તર ભેદ એકસો અઠ્ઠાવન; એમાં મતિજ્ઞાનાવરણનો સ્વભાવ જુદો, ને શ્રુત જ્ઞાનાવરણનો સ્વભાવ જુદો, શાતા વેદનીયનો જુદો, ને મિથ્યાત્વ મોહનીયનો જુદો, એ શું ? વળી એ કર્મોમાં પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ જુદી અને જીવવિપાકી જુદી, એ શી રીતે ? પહેલો તો એ સવાલ થાય છે કે પુદ્ગલ વિપાકી કર્મ એટલે શું અને જીવવિપાકી એટલે શું ? આત્માના જ્ઞાનાદિ પરિણામની સાથે સંબંધ માનશો તો જ એ જુદા જુદા સ્વભાવનું સમર્થન-સ્પષ્ટીકરણ કરી શકશો. નહિતર પછી એમ લોચા વાળવા પડશે કે “તે તે કર્મના તેવા તેવા સ્વભાવ છે.' પણ, “એ શાથી' એનો ઉત્તર નહિ કરી શકો. “એ કેવા કેવા ? એ સ્વભાવ શું શું કરનારા?” એ નહિ કહી શકો. ઉપાદાન અને નિમિત્ત ઉભયવાદી એવા અમે તો કહી શકીશું કે આત્માના મતિજ્ઞાનગુણને રોકવાના સ્વભાવવાળા કર્મને મતિજ્ઞાનાવરણ કહેવાય. આત્મામાં શાતા ઉત્પન્ન કરનાર કર્મ તે શાતાવેદનીય, આત્માને વિપરીત શ્રદ્ધા કરાવનાર કર્મ તે મિથ્યાત્વ મોહનીય કર્મ. પણ તે તે કર્મના તે તે સ્વભાવ શાથી, જુદા જુદા ચોક્કસ નામ શાથી? નિમિત્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org