________________
પુદ્ગલપિંડને ગ્રહણ કરીને જીવ સ્વને ભૂલીને પુદ્ગલને સાચવવામાં અને શણગારવામાં લાગી ગયો. બદલાતા પુદ્ગલમાં પણ ચિરપરિચિત થઈ રહેવા લાગ્યો.
વળી આ પુદ્ગલે જીવને કેવા કેવા ભયંકર આકારો આપ્યા ! નરકમાં લઈ જઈ અતિ કદરૂપા આકાર અને વર્ણાદિ આપ્યા. તિર્યંચમાં લઈ જઈ નાના જંતુથી માંડીને મોટા મત્સ્ય જેવાં શરીર આપ્યાં. ક્યાંક દેવાસ્કૃતિ પામ્યો અને વળી દીર્ધકાળ માનવઆકૃતિ પામ્યો. કર્માધીન કેટલાય પ્રકારના રોગોથી તેનું પુદ્ગલપિંડ સડે, પડે, નાશ પામે. આવા અનેક ભયજનક અને ભયંકર રૂપ જોઈને પણ જીવ જેની સાથે લક્ષણથી કોઈ સંબંધ ન હોય તેની સાથે એકમેક થઈને રહ્યો છે. સુખની આશા લેશ ન હોવા છતાં તે પુદ્ગલની માયા છોડી શકતો નથી.
આત્મા અરૂપી હોવા છતાં એણે પુદ્ગલપિંડના રંગે રંગાઈને કેવાં ભયંકર રૂપ ધારણ કર્યાં ! શરીરને કેળવીને પહેલવાન બનાવ્યું, ખૂબ કુસ્તી લડ્યો. છતાં દેહ તો રોગને કે મરણને શરણ જઈ પડ્યો. વળી કોઈ સત્તાના મદમાં કેવાં ભયંકર કામો કરીને નરકના દ્વાર ખોલે છે. આ શરીર મારું છે તેવી ભ્રમણાથી તેણે પાપોની પરંપરા આચરી.
યોગાનુયોગ કોઈ સંતસમાગમે પુદ્ગલનું ભયંકર સ્વરૂપ તેની સમજમાં આવ્યું. અને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન થતાં તેણે પુદ્ગલ પ્રત્યેની રાગ બુદ્ધિ–સુખભાવનો પરિહાર કર્યો. જેમ જીવ સ્વપ્નદશાથી જાગૃત થાય અને તેને સમજાય કે સ્વપ્નમાં જોયેલી સર્વ હકીકતો અસત્ય હતી. તેમ દેહભાવથી જાગૃત થતાં તેને પ્રતીતિ થઈ કે આ પુદ્ગલનો સંગ દુઃખદાયી છે. વળી ક્રમે ક્રમે પ્રયોગ કરીને તપાદિ દ્વારા, અનિત્યાદિભાવનાઓ દ્વારા, હેય ઉપાદેયના વિવેક દ્વારા પુદ્ગલના મમત્વનો પરિહાર કરી એ જ પુદ્ગલને સંયમનું સાધન બનાવી, તેનો આત્યંતિક વિયોગ કરી જીવ શિવરૂપે પ્રગટ થયો, અર્થાત્ રૂપી એવા પુદ્ગલને સદાને માટે ત્યજી દીધું અને અરૂપી એવા આત્માને નિત્યપણે પ્રગટ કર્યો ‘હોવે આપ અરૂપ'.
૧૮
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org