________________
308
૨૮
૨ - આતમ જાગો ! - તમે કોણ છો?
હું શરીર નથી, હું ઈન્દ્રિય નથી, હું પાંચ ભૂતરૂપ નથી, હું તો આત્મા છું. અનાદિકાળથી મારું અસ્તિત્વ છે. અનંતકાળ સુધી રહેવાનું છે. આ શરીર તો માના ઉદરમાં પેદા થયું છે, એક દિવસ નાશ પામી જવાનું છે. આ જ્યારે ન હતું ત્યારે પણ હું હતો. અને જ્યારે આ શરીર નહિ હોય ત્યારે પણ હું તો રહેવાનો છું. શરીર આદિ સાંત છે હું-આત્મા અનાદિ અનંત છું. આ શરીર તો નાશ પામવાના સ્વભાવવાળું છે. જ્યારે હું તો અવિનાશી છું. “વધુ વિનાશી તું અવિનાશી' - આ ભાવનાથી આત્માને ભાવિત કરવાનો છે. આ નહિ થાય ત્યાં સુધી આ પહેલી ગાથાનું પહેલું પદ પણ નહિ સમજાય, જેને આ પહેલું પદ નહિ સમજાય તેને આ ગાથાનાં બાકીનાં પદ નહિ સમજાય. અને જેને આ ગાથા નહિ સમજાય તેને આખું શ્રી સૂયગડાંગ સૂત્ર નહિ સમજાય.
જેને માટે આ પહેલું પદ નકામું છે, તેને માટે આ ગાથાનાં બાકીનાં પદ નકામાં છે અને જેને માટે આ ગાથા નકામી છે, તેને માટે શ્રી સૂયગડાંગ સૂત્ર પણ નકામું અને જેને માટે શ્રી સૂયગડાંગ સૂત્ર નકામું, તેને માટે આખી દ્વાદશાંગી નકામી છે માટે આત્માને ઓળખવો અત્યંત આવશ્યક છે અને એ માટે અંતર્મુખ બનવું જરૂરી છે. અંતર્મુખ બનવા માટે બહિર્મુખતા ટાળવી અત્યંત જરૂરી છે.
જ્યારે પણ બહિર્મુખતા ટાળી અંતર્મુખ બની આત્મસ્વરૂપનું ચિંતન કરવા બેસો ત્યારે કાનના વિષયોનું શ્રવણ ન જોઈએ, આંખના વિષયોનું દર્શન ન જોઈએ. નાકના વિષયોની ગંધ ન જોઈએ, રસનાના વિષયોનો કોઈ સ્વાદ ન જોઈએ. સ્પર્શના વિષયોની અનુભૂતિ ન જોઈએ, બીજો કોઈ વિચાર ન જોઈએ. અંદર ઉતરીએ, અંતર્મુખ થઈને વિચારીએ. શરીરનો ભાગ એ હું છું કે હું કોઈ જુદો છું ? તમને તમારી ભાષામાં સમજાય તે રીતે કહું.
વાળ એ તમે છો ? ના, કારણ કે, એ નીકળી જાય તો પણ તમે રહેવાના છો ! કાન એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! દાંત એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! જીભ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org