________________
બુદ્ધિમાનું વણજારો • ૨૭૫
દેખાતો નથી. એટલે જરૂર આ અતિ-માનવો છે અને મધુરું મધુરું બોલી ભારે ફાંસલો પાથરવાનો કોઈ પ્રયાસ કર્યો લાગે છે.'
બોધિસત્વે તેમને જુહાર કરી તેમના પણ સુખસમાચાર પૂછી રોકડું પરખાવ્યું કે “ભાઈ ! તમારી વાત ખરી છે. પણ અમે વણજારાઓ જ્યાં સુધી નજરોનજર પાણી ન જોઈએ ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ ઢોળી શકીએ નહિ. તમે જે સલાહ આપી તે માટે તમારો આભાર !”
પેલો ખવીસ તો પોતાના સાથીઓ સાથે તે જંગલમાં અલોપ થઈ ગયો અને પોતાનો આ ફાંસલો ઝટ સફળ થાય તેની રાહ જોવા લાગ્યો.
પણ બુદ્ધિશાળી બોધિસત્વે પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરી પોતાના સાથીદારોને પાસે બોલાવી કહેવા માંડ્યું: “ભાઈઓ ! આ પેલા જે માણસો હતા તે ખરા માણસો નહોતા; તેઓ મેં તમોને અગાઉ જણાવ્યા પ્રમાણે ખરેખરા ખવીસો જ હોવા જોઈએ. તેમણે આપણી બધાની અને બિચારા પશુઓની કચુંબર કરવા જ વરસાદની વાત વહેતી મૂકેલ છે અને તેમણે, જાણે તેઓ ભર વરસાદમાંથી આવતા હોય, તેવા તમામ રંગઢંગ પણ રચેલા છે. પણ આપણે ગભરાવાનું કારણ નથી. તમે જ વિચારો કે જો આ વનરાઈની પાછળ જ વરસાદ ધોધમાર વરસતો હોય તો આ ચાલતી હવા તો આપણને ઠંડી લાગવી જોઈએ ને ? શું તમે કોઈએ આ નિર્જળ જંગલમાં કમળોથી ઢાંકેલાં સરોવરો હોય એવું કદી સાંભળ્યું છે ખરું?”
તમામે ના પાડી.
“વરસાદની હવા એક યોજન સુધીના ભાગમાં ઠંડક લાવે છે, તો પછી સામે જ વનરાઈની પાછળ ધોધમાર વરસાદ વરસતો હોય તો તમારામાંનાં કોઈને પણ વરસાદને અડકીને આવતી હવાથી જરા પણ ઠંડક લાગે છે ખરી ?”
તમામે હવાની ઠંડક પણ નકારી.
“ધોધમાર વરસતા વરસાદમાં વાદળાંનું મથાળું એક જોજન છેટેથી જોઈ શકાય છે? તમે આ સામે એક પણ કાળું વાદળ જોઈ શકો છો ?”
બધાએ નકારમાં જ પોતાના માથાં હલાવ્યાં.
“વરસાદ વખતે ચમકતી વીજળી લગભગ ૨૦ ગાઉ સુધી દેખાય છે, તો શું આ ધોધમાર વરસતા વરસાદમાં વીજળી નહિ જ થતી હોય ? અને થતી હોય તો તમારામાંના કોઈએ એ વીજળીનો ઝબકારો સરખો પણ જોયો છે ખરો ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org