________________
૨૭૪ - સંગીતિ
ગારાથી ખરડાયેલ પૈડાંવાળા રથ ઉપર બેસી તેમની સામે આવતા દેખાયા. તેમના માથાથી પાણી ટપકતું હતું, કપડાં ગારાથી છંટાયેલાં હતાં, હાથમાં અને ગળામાં લીલાં તાજાં કમળોની માળાઓ શોભતી હતી અને તેઓ તાજાં કમળોની નાળોને ખખડાવતાં ખખડાવતાં આવતા હતા.
જેવો તે ખવીસ પોતાનો રથ તારવી બોધિસત્ત્વ વણજારા સાથે વાતચીત કરવાની લાલચથી ઊભો રહ્યો તેવો આંખ પરથી જ વણજારાએ તેને પારખી લીધો. વણજારાએ વિચાર કર્યો કે “આવાં જંગલો હમેશાં પાણી વિનાનાં હોય છે, તેમાં એકાએક આવા માણસો રહે એવો સંભવ નથી. કોઈ વટેમાર્ગુ કે મારા જેવા વેપારીઓ જંગલમાંથી પસાર થાય તે સંભવિત છે, પણ આ બધા તેવા લાગતા નથી. તેમ વેપારીઓ હોય એવું પણ તેમના દેદાર પરથી જણાતું નથી. ઠીક છે, જોઈએ છીએ શું થાય છે.”
પેલા ખવીસરાજે બોધિસત્ત્વને જુહાર કર્યા અને કુશળસમાચાર પૂછ્યા તથા પ્રવાસની હકીક્ત એક પછી એક પૂછવા માંડી, અને છેવટે ભારપૂર્વક કહ્યું : “આગળ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. આ સામે દેખાય છે તે વનરાઈની પાછળ જ તે વરસે છે. જુઓ ને અમે તો બધા પલળી ગયા અને ટપકતે પાણીએ જઈ રહ્યા છીએ. અમારા રથનાં પૈડાં તાજા ગારામાં ખેતી ગયેલાં તે અમે માંડમાંડ કાઢયાં અને તે ગારાનાં નિશાન હજુ આ પૈડાં ઉપર તદન તાજાં છે. અમારાં કપડાં પણ તાજાં ગારાથી છંટાયેલાં છે. વળી અમારા હાથમાં આ તાજાં કમળો, તેનાં નાળો અને ગળામાં લીલાં કુંજાર તાજાં કમળોની ભીની ભીની માળાઓ તમે જોઈ શકો છો. વરસાદ વરસી રહ્યો છે; એટલું જ નહીં, આગળ ઉપર કમળોથી ઢંકાયેલાં મોટાં મોટાં સરોવરો પણ આવે છે. માટે તમે પાણીથી ભરેલાં ગાડાંઓ ને તેમાંના પાણીનાં માટલાં ફોડી કાઢી પાણી ફેંકી દઈ ખાલી કરી નાંખો; બિચારા આ બળદોનો ભાર ઓછો કરી નાંખો; અમારે તો શું? પણ આ બળદોની અમને દયા આવે છે. અત્યાર સુધી તો પાણી રાખવું ઠીક હતું, પણ હવે જયારે આગળ પાણીની રેલમછેલ છે ત્યારે શીદ ઠાલા આ બળદોને ભારે મારવા. વાટમાં તમે મળ્યા એટલે અમે તો અમારો ધરમ બજાવ્યો.”
આ બધું સાંભળીને બોધિસત્ત્વ જરાય ભરમાયો નહીં; ઊલટું, તે વિચાર કરવા લાગ્યો : “આ મોટાભાઈની આંખ લાલઘૂમ છે, સાધારણ માણસની આવી આંખ હોય નહીં. વળી ચંદ્રના પ્રકાશમાં આ ભાઈનો તેમ જ તેની સાથેના આ બીજા બાર ભાઈઓનો આ મેદાનમાં પડછાયો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org