________________
૩૫. બુદ્ધિમાન્ વણજારો
(આત્માએ સાચી દિશામાં આદરેલો પ્રવાસ આ દેહ ખાખ થઈ ગયા પછી પણ ચાલુ રહે છે અને ઉત્તરોત્તર વિકાસ પામી કોઈ એક જન્મમાં પૂર્ણત્વને પામે છે. આવી કોઈ વિચારસરણીને આધારે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની ધર્મકથાઓનો જન્મ થયો છે. જાતિ કે વર્ણનો ભેદ બુદ્ધિની ખિલવણીને કે પ્રજ્ઞાની પારમિતાને માન્ય નથી એ વાત બુદ્ધદેવે પોતાના આ પૂર્વજન્મમાં સિદ્ધ કરી છે. પાલી ભાષાના અભ્યાસી પંડિતજીએ અનેકમાંની એક જાતક-કથા અહીં રજૂ કરી છે.)
પૂર્વે કાશી દેશમાં રાજા બ્રહ્મદત્તનું રાજ ચાલતું હતું. ત્યારે બોધિસત્ત્વ એક વણજારાના કુળમાં અવતર્યા હતા. જ્યારે તે નિશાળે જવા જેવડા થયા, ત્યારે તેમને ગુરુ પાસે નિશાળે ભણવા બેસાડ્યા. ભણીગણીને પ્રવીણ થયા પછી માતાપિતાએ તેમને ગુણે અને સ્વભાવે સરખી એવી એક કન્યા પરણાવી. પછી તો લગ્ન બાદ તેઓ પોતાનાં માતાપિતાની સંમતિ મેળવી પોતે આગવો વેપાર કરવા લાગ્યા. માલની પાંચસો પાંચસો ગાડીઓ ભરી પૂર્વથી ઠેઠ પશ્ચિમમાં જવા લાગ્યા અને પશ્ચિમમાંથી માલસામાનની પાંચસો પાંચસો ગાડીઓ ભરીને પૂર્વમાં આવવા લાગ્યા. એ જ પ્રકારે ઉત્તરમાં અને દક્ષિણમાં પણ પોતાનો મોટો વેપાર ખેડવા લાગ્યા.
એમના જ વખતમાં કાશીમાં એક બીજો પણ વણજારો છોકરો વેપાર ખેડતો હતો. એ છોકરો મૂરખ, જડ અને બુદ્ધિહીન હતો.
એક વખત બોધિસત્ત્વ વણજારાએ કરિયાણાનો કિંમતી માલસામાન ભરી પાંચસો ગાડીઓ લઈ પરદેશમાં જઈ વેપાર ખેડવાની તૈયારી કરી, ત્યારે પેલા વણજારાનો બુદ્ધિહીન છોકરો પણ માલની પાંચસો ગાડીઓ ભરીને પરદેશ જવા તૈયાર થયો.
આ સમાચાર સાંભળતાં જ બોધિસત્ત્વની તરત-બુદ્ધિએ વિચાર્યું : ‘અમે બંને વણજારા એક સાથે પ્રવાસ ખેડીશું તો કોઈને લાભ તો નહીં થાય; ઊલટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org