________________
એક ભજન ને મહાભારત ૦ ૧૮૯
શ્રમણદશા, બૌદ્ધ પરિભાષામાં ભિક્ષુદશા, વૈદિક પરિભાષામાં સંન્યાસીવૃત્તિ, ઇસ્લામી પરિભાષામાં ઓલિયાપણું-ફકીરી, ક્રિશ્ચિયન પરિભાષામાં પાદરીપણું-સિસ્ટર, મધર કે બ્રધર વા ફાધરનો ભાવ, પારસી પરિભાષામાં મોબેદની કે અધ્યારુની (અધ્વર્યુની) વૃત્તિ જો સાધના માટે જ સ્વીકારેલી હોય તો અંતરંગની અપેક્ષાએ એકસરખી જ હોય છે. બહારથી જોતાં ભલે તે જુદી જુદી જણાય, પરંતુ બહારની દશા કરતાં અંતરંગ દશા જ વિશેષ આદરપાત્ર છે. બહારની દશાય અનાદરણીય નથી, પરંતુ તે સાધનરૂપ છે, અને અંતરંગદશા સાધ્યરૂપ છે. એટલે વૃક્ષનાં ફળ અને વૃક્ષનાં બીજાં બીજાં નિમિત્ત કારણો વચ્ચે જે જાતનો મૂલ્યનો ભેદ છે, તેવો ભેદ આ બહિરંગ અને અંતરંગ દશા વચ્ચે રહે છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ વિશાળ ભાવને ખ્યાલમાં રાખીને જ જૈનપરંપરાના સુપ્રસિદ્ધ નવકારમંત્રમાં પાંચમું પદ “નમો તો સવ્વસાહૂળ' કહેવામાં આવેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે: તો' એટલે આ જગતમાં, “સર્વસાહૂ' એટલે તમામ સાધુપુરુષોને, “નમો' એટલે નમસ્કાર. અર્થાત્ આ જગતમાં જ્યાં જ્યાં સાધુપુરુષો છે, ત્યાં ત્યાં તે તમામ વંદનીય-આદરણીય-પૂજનીય છે. આજકાલ “સાધુઓ ઉપયોગી છે કે નહીં' એવી ચર્ચા આપણા રાજપુરુષો અને બીજા સુધારકો કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ દેશના હજારો સાધુઓ-સંન્યાસીઓ પ્રજાને ભારે ભારરૂપ છે; માટે તેમને નિયમનમાં લાવવા કોઈ નિયંત્રણની જરૂર છે. વિચાર કરતાં જણાશે કે દેશમાં પ્રજાને ભારરૂપ લાગે તેવા કોણ કોણ છે? એવી શોધ કરવાનો અધિકાર તેને જ છે કે જે પોતે કોઈ પણ રીતે દેશને ભારરૂપ ન બનતો હોય. જ્યાં સુધી માણસ કેવળ સ્વાર્થપરાયણ, કુટુંબપરાયણ, કોમપરાયણ વૃત્તિવાળો છે ત્યાં સુધી તે દેશને ભારરૂપ જ છે; એટલું જ નહીં, પણ ભારે ખતરનાક છે અને બેકારી વધારવામાં જાણ્યઅજાણ્યે સાથ આપતો જ હોય છે. આ ભજનમાં જેવા સંતોની દશા વર્ણવી છે તેવા સંતો કદી પણ દેશને કે પ્રજાને ભારરૂપ હોવાનો સંભવ નથી; અને પ્રજાને ભારરૂપ ન થવા માટે જ તો સંતોએ ભજનમાં વર્ણવેલી દશા જાણીબૂઝીને અપનાવેલ છે; એવા સંતો દેશને ભારરૂપ નથી જ. ઊલટા દેશના અભ્યદયમાં અસાધારણ કારણરૂપ છે અને એક ઉત્તમ આદર્શ સમાન છે એ ન ભુલાય—એવો આ લખાણનો બીજો મુદ્દો છે.
– અખંડ આનંદ, એપ્રિલ – ૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org