________________
૧૬૬ - સંગીતિ
એકબીજાના શાસ્ત્ર તરફ નફરત ઓછી થઈ જણાતી નથી. તમે જોશો કે બ્રાહ્મણપરંપરાના અનુયાયીઓમાં ભાગ્યે જ એવા પંડિતો મળશે, જેઓ જૈન અને બૌદ્ધ વિચારોની પૂરી સમજ ધરાવતા હોય; તેમ આ બાજુ જૈન અને બૌદ્ધ પરંપરાના અનુયાયીઓમાંના ભાગ્યે જ એવા પંડિતો મળશે કે જેઓ બ્રાહ્મણ પરંપરાના ગીતા અથવા ઉપનિષદ્ જેવા ગ્રંથોમાં જે વિચારો દર્શાવેલા છે તેમને બરાબર સમજે, વિચારે અને તેમનું તોલન કરે.
આ વાણીયુદ્ધનું બીજું અનિષ્ટ પરિણામ એ આવ્યું છે કે એ પ્રયોગાત્મક શાસ્ત્રને માનનારાઓમાં પણ ફાટફૂટ પડી ગઈ અને તેમાંથી જુદા જુદા પંથોસંપ્રદાયો-સંકીર્ણ મતો ઊભા થયા. જે જે હકીકત પ્રયોગરૂપે હોય તેને અનુસરતાં તેમાં ક્રિયાભેદ વા વિચારભેદ જરૂર થાય, અને એમ બનવું એ તો પ્રયોગાત્મક પ્રવૃત્તિનો પ્રાણ છે. પણ આ જુદા જુદા પંથો અને સંપ્રદાયોમાં એમ ન થતાં પરસ્પર વિરોધ વધારે વધતો ચાલ્યો અને તે તત્ત્વવિચારમાં વા તેના અનુષ્ઠાનની ચર્ચામાં ગાળાગાળી સુધી પહોંચી ગયો.
આ રીતમાં જૈન ગ્રંથકારો પણ જરાય પાછળ રહ્યા નથી. અહિંસાને સંપૂર્ણપણે માનનારા અને અનેકાંતવાદના સિદ્ધાંતને પણ પૂરેપૂરું માન આપનારા પણ આ શાસ્ત્રકારો તત્ત્વવિચાર અને કર્મકાંડની ચર્ચામાં ન તો અહિંસાને જાળવી શક્યા છે, ન તો અનેકાંતવાદ તરફનો પોતાનો આદર ટકાવી શક્યા છે.
જેવું આ કથન જૈન શાસ્ત્રકારોને લાગુ પડે છે તેવું બૌદ્ધ શાસ્ત્રકારોને પણ લાગુ પડે છે. હવે તો વિજ્ઞાનનો યુગ આવેલ છે અને ગાંધીયુગ પણ આપણે નજરોનજર જોયો છે. એટલે તે બંનેની અસર પ્રજા ઉપર છે. એટલે જ વર્તમાન યુવાન પેઢી ગડમથલમાં પડી છે. તે ધર્મવિમુખ નથી, પણ કયો પ્રયોગ કરવો તેની મૂંઝવણમાં છે. આવે ટાંકણે જો ધર્મધુરંધરો મધ્યયુગ જેવી સ્થિતિને જ પ્રધાનસ્થાન આપવામાંથી નવરા નહીં થાય, તો જરૂર આ પેઢીને ધર્મવિમુખ બનાવવાની જવાબદારીના ભાગીદાર બનશે એમાં શક નથી.
પ્રાચીન સમયમાં વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણ પ્રયોગાત્મક વિચારધારાઓ આપણી સામે હતી, પણ હવે તો તેમાં બીજી બીજી પ્રયોગાત્મક વિચારધારાઓનો પણ સમાવેશ થયેલ છે : જરથોસ્તી ધર્મની પ્રાચીન પરંપરા, ખ્રિસ્તી ધર્મની પરંપરા અને ઇસ્લામી ધર્મની પરંપરા. આ વિચારધારાઓની પણ ઉપેક્ષા કરવી પોષાય તેમ નથી એ હકીકત અંગે પણ આપનું ધ્યાન ખેંચું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org