________________
૨૨: આહાર અને નિદ્રા પણ રોગ છે?
એક પણ અવસ્થા દુઃખરહિત નથી :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિરૂપ સંસારને દુઃખમય વર્ણવતાં નરકગતિ અને તિર્યંચગતિને જેમ દુઃખમય વર્ણવી તેમ મનુષ્યગતિ અને દેવગતિને પણ દુઃખમય જ વર્ણવી. મનુષ્યગતિને દુઃખમય વર્ણવતાં એ પરમોપકારી પરમર્ષિએ, એ ગતિની સર્વ અવસ્થાઓને દુઃખમય જ વર્ણવી.
વિચારવામાં આવે તો સૌને સમજાય તેમ છે કે મનુષ્યગતિની પણ એક અવસ્થા દુઃખરહિત નથી. એ ગતિમાં ગર્ભાવસ્થાનું દુઃખ તો સમજી શકાય તેવું જ છે. એ ગતિની બાલ્યાવસ્થા, એ તદ્દન અજ્ઞાનાવસ્થા છે : એટલે, એના દુ:ખનું તો પૂછવું જ શું ? એ ગતિની યુવાવસ્થા એ ઉન્મત્તાવસ્થા છે : માટે એમાં પણ વસ્તુતઃ દુઃખ જ હોય એમાં પણ શંકા શી ? અને એ ગતિની વૃદ્ધાવસ્થા, એ તો શિથિલાવસ્થા હોવા છતાં તૃષ્ણા આદિના કારમા તરંગોમાં તરતી છે : એટલે એમાં પણ એકેએક અંગોપાંગ શિથિલ થતાં હોઈ તૃષ્ણા આદિના યોગે દુઃખ જ છે. વધુમાં એ ગતિની અંદર રોગો પણ, બાલ્યાવસ્થાથી લાગુ જ હોય છે અને પરાભવોનો પણ પાર નથી હોતો. આ પ્રમાણે હોવા છતાં પણ એનાથી ટેવાઈ ગયા છો માટે દુઃખ નથી લાગતું. અશુચિનો કીડો એમાં જ મજા માને છે. એ બિચારો એમાં જ જીવે અને બહાર મરી જાય. તમે પાણીમાં ન જીવી શકો પણ જલચર જીવો પાણીની બહાર મરી જાય. અગ્નિયોનિના જીવો અગ્નિમાં જ જીવે અને રહે તથા બહાર મરી જાય. એથી સ્પષ્ટ છે કે જે આત્મા જેમાં ટેવાય તેમાં એને દુઃખ નથી લાગતું પણ વસ્તુતઃ દુઃખ જ છે. વળી એ ગતિમાં “શોક, ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો યોગ' આ ત્રણ પણ વખતોવખત બેઠેલા જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org