________________
૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ :
આવશ્યક ચેતવણી :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક શુભ આશયથી, આ ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાનું, કર્મવિપાકની ગરિષ્ઠતાને પ્રતિપાદન કરનારું આ બીજું સૂત્ર રચ્યું છે. એ સૂત્રના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે
“સંસારની ચારે ગતિમાં એક પણ ગતિ એવી નથી કે જેમાં સુખનો લેશ હોય.'
નારકીનાં દુઃખનું વર્ણન કરી ગયા બાદ તિર્યંચ ગતિનું વર્ણન કરતાં પણ ફરમાવી ગયા કે –
તિર્યંચ ગતિમાં ગણાતા એકેંદ્રિય જીવો, કે જેમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય છે, એ જીવો અનંત કાળ તથા અસંખ્ય કાળ સુધી એવી વેદના ભોગવે છે કે જેમાં સુખનો અંશ પણ દેખી શકાતો નથી.”
સ્થાવર નામ કર્મના ઉદયે બિચારા એ જીવો ગમે તેવી આપત્તિ છતાં જરા પણ ખસી કે ચસી શકતા નથી. વૃક્ષોનાં મજબૂત મૂળિયાં જેમ છેદન-ભેદનતાડન-તર્જન થવા છતાં ખસી શકતાં નથી, પોતાનું સ્થાન છોડી આઘા ખસતાં નથી, તેમ કર્મથી ભારે બનેલા વિષયાસક્ત જીવ પણ ગમે તેવી આપત્તિ છતાં સંસારના સંગથી ખસવાની ભાવનાવાળા થતા નથી.
સંસારનાં પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય થાય એ જ માટે ઉપકારી મહર્ષિઓ આ બધું વર્ણન કરે છે, એ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. જ્યાં સુધી નિર્વેદ તથા વૈરાગ્ય ન થાય ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા હૃદયમાં ઊતરતી નથી. સંસાર દુઃખમય સમજાય તો નિર્વેદ થાય. જ્યાં સુધી સંસાર દુઃખમય સમજાતો નથી, સુખના સ્થાને જવાની કાર્યવાહી થતી નથી, ત્યાં સુધી ઉન્નતિની આશા રખાય પણ કઈ રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org