________________
૩૦૬ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
- 15
ઓઘાવાળાને પણ જો તેઓ સ્વસ્વરૂપને ભૂલી ઉન્માર્ગે ચડી ગયા, તો સાતમી નરકે મોકલ્યા છે ? એ આ શાસન છે. બધાની મર્યાદા છે.
તમે ખાઓ-પીઓ એમાં શ્રી તીર્થંકરદેવને કઈ હાનિ ? તમે સોનાના પાટલે રત્નના થાળમાં જમો, એમાં એ તારકનું શું જાય ? કંઈ નહિ ! નહિ, પણ એ તારક જ્ઞાની અને દયાળુ છે. એટલે એમાં તમારું ભવિષ્ય ખરાબ દેખે છે. દેવતાઓ ત્યાંની વાવડીમાં ને રત્નાદિકમાં લીન થાય, તે મરીને ત્યાં એકેંદ્રિય તરીકે પણ ઉત્પન્ન થાય. રત્નોના જીવ તરીકે ઊપજે. દેવતા પણ ચેતનાહીન જેવા થાય. જેટલા લીન થાય એની હાલત એ ! દુનિયાના રંગરાગમાં રાચ્યા તે બધાની એ દશા ! એક શ્રાવકને મરતી વખતે નિર્ધામણા કરાવનાર શ્રી ગૌતમસ્વામી મહારાજ હતા, છતાં એનો જીવ સ્ત્રીમાં રહ્યો તો એ સ્ત્રીના માથામાં ઘા હતો ત્યાં કીડાપણે ઉત્પન્ન થયો માટે જ પરમ હિતકારી જ્ઞાનીઓ ફરમાવે છે કે લીન થવું રહેવા દો અને તમારી ક્ષુલ્લક દૃષ્ટિએ શાસ્ત્રનું માપ ન કાઢો. જ્ઞાની દયાળુ હતા પણ નિર્દય નહોતા. એ તારકને તમારા ભોગની ઇર્ષ્યા નથી. ધનધાન્યનો સદુપયોગ કરો, પણ એને વળગો નહિ. તમારી લક્ષ્મી છોકરાં જ ખાશે એ નિયમ નથી, કારણ કે તમારા દુશ્મન પણ ખાય !
સભા : નજરે દેખાય છે, છતે છોકરે દુશ્મનો પણ ખાય છે.
માટે મળેલાનો સદુપયોગ કરતાં શીખો. તિર્યંચોની જેમ મનુષ્ય પણ કરે તો બેમાં ફેર શો ? જ્ઞાનીએ મનુષ્યને ઊંચા માન્યા, લાયક માન્યા, એથી જ તેઓને ઉદ્દેશીને ખાસ કહ્યું : લાયક બનીને સાચું સાંભળે તો લાભ થાય ને ? પણ જેને સાચું સાંભળતાં જસન્નિપાત થાય તેને શું થાય ? પૈસાટકાની, ખાનપાનની અને માનપાનની જ વાત રુચે અને સંયમ આદિની વાત ન રુચે ત્યાં શું થાય? દુનિયાના પદાર્થો એવા છે કે ભલભલાને મૂંઝવે. કર્મોદયે સંયમીઓ પણ હારી ગયા છે તો અર્થ-કામમાં ફસેલાનું તો પૂછવું જ શું? માટે અર્થ-કામની લાલસાને છોડવાનો અભ્યાસ કરો. ક્રિયામાત્ર, પૌલિક મમતા છોડવાનો જ અભ્યાસ છે. માનવજીવન એ અભ્યાસ માટે છે. મંદિર આવવાનું મન ન હોય તો પણ આવો, વગર મને પણ ધર્મક્રિયા કરો. પ્રયત્ન કરવા છતાં ન થાય ત્યાં પાપના ઉદયનું બહાનું ચાલે, પણ પોતે નવરો છતાં - પોતાને પ્રેરક છતાં - મંદિરે ન જાય કે ક્રિયા ન કરે અને પાપના ઉદયનું બહાનું કાઢવું, એ વસ્તુતઃ દંભ છે.
સભા : સમજવા છતાં ન કરે તેના કરતાં ન સમજે એ સારા ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org