________________
૨૯૮ ----
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ---— 1038
સ્મરણપથમાં રહેતો હતો. સામો અપરાધી છે માટે એને શિક્ષા કરવી પડે છે, ત્યાં એ લાચાર છે એમ માનતા, પણ એટલા માટે કાંઈ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક ન મારવાનો નિયમ ભૂલે ? જ્યાં પંચેન્દ્રિય જીવોની કતલ ચાલે ત્યાં પણ બાણ પૂંજવાનું યાદ રહે, એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી જ.
સભા: આજ તો મશ્કરી થાય સાહેબ!
શ્રી કુમારપાળ મહારાજાની પણ મશ્કરી કરી છે. એમના લશ્કરના તમામ ઘોડાના પલાણે પૂંજણી બંધાતી : દરેક ઘોડેસ્વાર પૂંજીને જ ચડે એ કાયદો હતો. આથી મશ્કરી કરી છે કે “કીડી મંકોડીને પૂંજનાર આ રાજા શી રીતે જીત મેળવશે !” કુમારપાળે એ સાંભળ્યું છે અને મશ્કરી કરનારને પોતાની પાસે બોલાવીને પોતાનું બળ બતાવ્યું અને તે પછી કહ્યું કે “બળનો ઉપયોગ તો થતો હોય ત્યાં થાય. નિરાધાર અને નિરપરાધી જીવો પર એ બળનો ઉપયોગ ન જ થાય. નિર્બળની રક્ષા માટે બળ છે પણ દુર્બળોને મારવા માટે નથી. અપરાધી માટે બળનો ઉપયોગ કરવો પડે એ વાત જુદી છે !” જેટલું સાચું બળ એટલી જ ક્ષમા, અને નિર્બળતા ત્યાં ગુસ્સો. જેનામાં વાસ્તવિક બળ વધારે તેનામાં ક્ષમા પણ વધારે. શક્તિહીન હોય તે તો વાત-વાતમાં ગાળ દે. ચર્ચા કરતાં લડી મરે કોણ ? જેને ન આવડે છે. જેની પાસે દલીલ ન હોય, યુક્તિ ન હોય તે ગપ્પાં મારે, એમાં ન ફાવે તો ગાળ દે, એથી ન ફાવે તો પથરા ફંકે અને છતાંય જો ન ફાવે તો નાગાઈ કરે. પણ સત્યનો પૂજારી તો તેવા સમયે પણ પોતાનું સત્ય પ્રકાશિત કર્યા જ કરે. તેવી જ રીતે સાચા બળવાનને ગુસ્સો ન આવે. શ્રી તીર્થંકરદેવ જેવાને નાનામાં નાના જંતુ હેરાન કરી જતા, ગોવાળિયા જેવા મારી જતા, છતાં ન બોલ્યા. એ અનંત બળવાન છતાં કેમ ન બોલે ? આનો ઉત્તર એ જ કે “એ જ ખૂબી છે.” સાચા બળવાન ન જ બોલે. જંગલના સિંહ પાછળ ઘણાં શિયાળિયાં ફરે, પણ એ સામે પણ ન જુએ : કેમ કે એ નિર્ભય હોય. એ પોતાના બળ પર જીવે છે. ધડાકાથી પણ એ ન ભડકે : કારણ કે એને પોતાના બળનો વિશ્વાસ છે. બધાથી ડરે એ તો બાયેલા કૂતરું ભસે તથા નળિયું ખસે એનાથી પણ ડરે, એ બળવાન કેમ કહેવાય ? જે ગુણ પ્રગટ થાય તેની છાયા આવવી જોઈએ. આજે વાસ્તવિક સંપૂર્ણ બળ એકમાં પણ નથી, એથી જ આજે ઘોર પાપ અને અનાચારને પેદા કરનારી પ્રવૃત્તિઓ ધર્મના નામે ચાલી રહી છે! સાચા બળવાનના હૃદયમાં નિરપરાધીને મારવાની ઇચ્છા જન્મ જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org