________________
– ૨ ઃ સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ – 52
- -
૧૩
પૂછે કે “આમ કેમ ?' તો તરત કહે કે “કર્માધીન.” આવું બોલતાં કોણે શીખવાડ્યું? ઉત્તરમાં કહેવું પડશે કે સ્વયં શીખેલો જ છે. ભાગ્યના આધારે નાચનારને એમ કહેતાં શરમ પણ નથી આવતી, નહિ તો અનંતી શક્તિનો આત્મા “કર્માધીન' એમ કેમ કહે ? પણ સામાન્ય રીતે બધા આત્મા એની - કર્મની સેવામાં ટેવાઈ ગયા છે. આ જ કારણે આ ધૂનન ઘણું કઠિન છે. માટે આ બધી વાત ગ્રંથકાર સૂક્ષ્મતાથી અને વિસ્તારથી સમજાવે છે.
બહારનાં બધાં ધૂનન સહેલાં છે, કેમ કે તે વાતો નજરે આવે છે, દૂર કરવાના ઉપાયો જડે છે અને ઉપાયો શીખવનાર શિક્ષકો પણ મળે છે. અહીં તો આત્માનું વાસ્તવિક સ્વરૂપ દેખાડનારા એટલે સમજાવનારા થોડા, એનાથીયે સમજનારા થોડા, તેમાંયે શ્રદ્ધાપૂર્વક સમજનારા થોડા, શ્રદ્ધાપૂર્વક માન્યા પછી કર્મથી આત્માને ખસેડવાની ઘટતી કાર્યવાહી કરનારા એથીયે થોડા, તેમાંયે એ કાર્યવાહી જિગરપૂર્વક કરનારા થોડા, તેમાંયે અપ્રમત્ત થોડા અને તેમાંયે સંપૂર્ણપણે સાધી નિર્મળ બને એવા થોડા જ ! શાથી? વસ્તુ અદશ્ય છે : આત્મા ઊંધી રીતે ટેવાયો છે : સંયોગો, શિક્ષણ તથા વાતાવરણ બધું ઊલટું છે એથીને ? અને એથી જ ભાવધૂનન ઘણું કઠિન છે.
જો કહેવામાં આવે કે ‘કર્મની સામા થાઓને !' - ત્યારે શું કહેવાય છે? એ જ કે “શું થવાય ! ભગવાન શ્રી મહાવીરે પણ કર્મ ભોગવ્યોને !” પોતાના આત્માની શિથિલતાનું વર્ણન કર્મ ઉપર નાંખી એને પુરવાર કરવા મહાપુરુષોનાં દૃષ્ટાંતનો ઉપયોગ કરાય છે ! આટલો ગાઢ સંબંધ આત્માને કર્મ સાથે થયો છે. માટે જ ભાવધૂનનની ક્રિયા ભયંકર કઠિન છે. એ ભાસેલી ભયંકરતા નીકળે નહિ, પુરુષાર્થ કર્યા વિના માત્ર પોતાની ઇન્દ્રિયોની વિષયાધીન વૃત્તિને પોષવા ખાતર કર્માધીનતા સ્વીકારી લેવાની કુટેવ નિર્મૂળ ન થાય, અને “કર્મો ગમે તેવાં તોયે જડ અને ગમે તેવો દબાયેલો છતાં હું ચેતન' - આ ભાવના જ્યાં સુધી ન જાગે, ત્યાં સુધી ધૂનન ન થાય, માટે આત્માને આટલું ભાન તો અવશ્ય થવું જ જોઈએ.
વ્યવહારમાં પણ ધોબીને ગમે તેવું મેલું, કાળું અને ચીકણું વસ્ત્ર આપો તો પણ એને મન એને સ્વચ્છ બનાવવું એ રમત ! તમે કહો કે “આ વસ્ત્ર તો બહુ ખરાબ છે, નહિ ધોવાય !' પણ ધોબી તરત કહેશે કે “ચિંતા નહિ, હું બરાબર ધોઈશ !” શાથી? મેલ કાઢવાનો અભ્યાસી છે એથી ! આત્માને પણ એ ભાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org