________________
૮: સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ?
કુસાધનનો સદુપયોગ પણ સુસાધનવાળો આત્મા જ કરી શકે?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશામાં સ્વજનધૂનન સમજાવતાં પહેલાં, ધર્મનું નિરૂપણ કોણ અને ક્યારે કરે છે તે સમજાવે છે તથા તે સમજાવતાં ફરમાવ્યું કે સ્વર્ગ તથા મોક્ષ અને તેનાં કારણો તથા સંસાર અને તેનાં કારણોને સમ્યક્ પ્રકારે જે જાણે તે ધર્મનું નિરૂપણ કરી શકે. સંસાર આદિનાં કારણો યથાસ્થિત ન જણાય, ત્યાં સુધી સદ્ધર્મનું યથાસ્થિત સ્વરૂપ કહી ન શકાય, માટે જ શ્રી તીર્થંકરદેવો કેવળજ્ઞાન પૂર્વે ધર્મની દેશના દેતા નહોતા કેવળજ્ઞાન પછી જ શ્રી ધર્મતીર્થની સ્થાપના કરતા.
સંસાર અને મોક્ષ એ બે જેમ ભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે, તેમ તેનાં કારણો પણ ભિન્ન છે : છતાં સંસારની ઘણી ચીજો મોક્ષની સાધના માટે ઉપયોગી થતી હોય છે, પણ એથી એ ચીજોને મોક્ષના સાધનની કોટિમાં લઈ જવાય નહિ. તેમજ એ ચીજોને મોક્ષના સાધનની બુદ્ધિથી સેવાય નહિ ! એ કારણે એ ચીજ ક્યારે છૂટે એ ભાવના મુમુક્ષુ આત્માને હોવી જ જોઈએ. એ ચીજો વિના નભાવી લેવા જેવી તાકાત ન હોય માટે એનો ઉપયોગ કદાચ થાય. પરંતુ એ ચીજો છોડવાની તાકાત ક્યારે આવે, એ ભાવના તો હોવી જ જોઈએ. તાકાત નથી માટે સેવવી પડે છે એમ મુમુક્ષુ આત્મા માને. શરીરને છોડવાની તાકાત નથી માટે એને ધર્મ સાધવાના ઉપયોગમાં આવે એ ઇરાદે સાચવે છે. શરીરને છોડવાની તાકાત એટલે આપઘાત નહિ : પરંતુ ફરી તે વળગે નહિ તેવું છોડવું તે ! શરીર જાય ત્યારે જરા પણ ગભરામણ ન થાય અને ઇચ્છિત મળ્યું એમ થાય તે ! આબરૂ માટે કે બીજાં કારણો માટે પણ ઝેર પીનારા ઘણા છે, પરંતુ એને શરીર છોડ્યું ન કહેવાય. આ શરીર છોડ્યું પણ પછી ? પછી શરીર નથી ? શરીર તો છે, આ નહિ ને બીજું ! જો એમ શરીર છોડાતું હોય તો તો બધા જ મુમુક્ષુઓ આપઘાત કરીને જ મોક્ષ ન મેળવે ? એમ ન કરતાં તે શા માટે સંયમાદિ વહન કરે છે ? કારણ એક જ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org