________________
૨૪૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
520
ભક્તિ તથા ઉપદેશમાં પુનરુક્તિનો દોષ નથી !
અનંતજ્ઞાની આત્માઓએ એકાંત હિતની જ દૃષ્ટિએ ઉપદેશેલાં અનુષ્ઠાનોની આરાધના માટે, સ્વેચ્છાચારિતા તજી દઈને, આજ્ઞાધીનતા પ્રથમ જ સ્વીકારવી પડશે. આજ્ઞાધીનતા આવ્યા વિના, સાધકતા આવવાની જ નથી. સાધક સ્વાધીન હોય જ નહિ. “મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ' - આ ચાર જ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના સ્વયંપ્રણેતા પણ સ્થળે સ્થળે એમ જ કહે છે કે કહું છું તે મારું નહિ, પણ ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું કહું છું.' આનું જ નામ આજ્ઞાધીનતા અને એ મહામંગળરૂપ છે. આવા મહાપુરુષો પણ આજ્ઞાધીન, તો આપણે કોણ ? આપણી તો પૂરેપૂરી ફરજ એ જ છે કે એક પણ વિચાર, ઉચ્ચાર કે આચાર આજ્ઞાથી વિરુદ્ધ ન જાય, તેની સંપૂર્ણ કાળજી રાખવી. આ જાતની આજ્ઞાધીનતામાં ઉપકારીનું સ્મરણ, પૂજા, નમસ્કાર, સેવા બધું જ આવી જાય છે. વાતવાતમાં મારા ભગવાને આમ કહ્યું - મારા ભગવાને આમ કહ્યું એમ હૈયેથી બોલવા જેવી બીજી પૂજા દુનિયામાં છે પણ કઈ ? શ્રી સુધર્માસ્વામી એટલે કોણ ? આખા શાસનના શિરતાજ ! સાંભળનારાઓ કંઈ એમને કમ નહોતા માનતા, છતાંય એ મહાપુરુષ તો એમ જ કહેતા કે “મારા ભગવાન શ્રી મહાવીરે જે કહ્યું, તે એમની સેવામાં રહેતાં મેં સાંભળ્યું તે કહું છું.” આના જેવું આ વિશ્વમાં એક પણ મહામંગળ નથી. આ ભાવના આવે, તો અત્યારે બધું જીવન જ ફરી જાય. શ્રી જૈનશાસનની મહત્તા જ ત્યાં છે. દરેક લખનારા પૂર્વના મહાપુરુષો માટે આમ જ લખે છે, અને આવી જ વસ્તુ રહી છે. અને જેટલી રહી એટલી વસ્તુથી પણ શ્રી જિનેશ્વરદેવના માર્ગને વાસ્તવિક પામી શકાય છે.
મહાપુરુષની આજ્ઞાને આધીન રહેવું, તે ખરેખર પરમ મંગલ જ છે. એ વાત સાચી, પણ એથી વારંવાર મહાપુરુષને આગળ લાવ્યા કરવા એ પુનરુક્તિ નથી ?' એમ પૂછનારને કહેવું કે “ભક્તિમાં પુનરુક્તિનો દોષ નથી. જેમ ભક્તિમાં પુનરુક્તિનો દોષ નથી, તેમ ઉપદેશમાં પણ ‘પુનરુક્તિ'નો દોષ નથી. ઉપદેશમાં પણ એક વાત અનેક વાર આવે. ઉપદેશનો હેતુ એક જ કે, સાંભળનારના હૃદયમાં જે વસ્તુ નાખવી છે, તે ગમે તે પ્રકારે પેસાડવી, માત્ર કહી જવું એ જ ઉપદેશ નહિ, પણ જેના હૃદયમાં ઉતારવાની ઇચ્છા હોય, તેને જે રીતે કહેવું ઘટે તે રીતે કહેવું. એ ઉપદેશ અને એ રીતે કહેવાની ઉપદેશકને છૂટ હોય છે. શરત એટલી કે ઉપદેશકમાં કેવળ ઉપકારબુદ્ધિ જ હોવી જોઈએ. ઉપદેશક કોઈ પણ રીતનો સ્વાર્થી ન હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org