________________
તારાદિત્રયાત્રિશિકા/બ્લોક-૨૯ ભાવાર્થ :
અવેધસંવેધપદમાં નિરનુબંધ પુણ્યની પ્રાપ્તિ અને સાનુબંધ પાપની પ્રાપ્તિ -
પ્રથમની ચાર દૃષ્ટિ સુધીના જીવોમાં અવેદ્યસંવેદ્યપદ સર્વથા ગયું નથી, અને તે અવેદ્યસંવેદ્યપદ જ્યારે વર્તતું હોય ત્યારે જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય અને તેનાથી પાપાનુબંધી પુણ્ય ન બાંધતા હોય તો તે પુણ્ય નિરનુબંધ હોય છે.
આશય એ છે કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો અવેદ્યસંવેદ્યપદની અસરથી ઉપયુક્ત થઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તો સ્વદર્શન પ્રત્યેનો રાગ કે સ્વરુચિ પ્રત્યેનો રાગ ઉપયોગરૂપે વર્તતો હોય, અથવા તો તત્ત્વ પ્રત્યેનો રાગ પ્લાન અવસ્થામાં વર્તતો હોય, તે વખતે જે અસદ્ગહ ઉપયોગમાં સ્કુરાયમાન થઈ રહ્યો છે, તેને કારણે ધર્મની પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય પણ પાપાનુબંધી બંધાય છે; અને સ્વદર્શનના રાગનું વલણ ઉપયોગમાં વ્યક્ત પ્રવર્તતું ન હોય, આમ છતાં, તે વલણ નીચે પ્રવૃત્તિ થતી હોય ત્યારે ધર્મની પ્રવૃત્તિથી જે પુણ્ય બંધાય છે, તે નિરનુબંધ છે; કેમ કે સાનુબંધ પુણ્યાનુબંધી પુણ્યમાં ગ્રંથિભેદનું નિયામકપણું છે.
તેનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવો સાનુબંધ પુણ્ય બાંધી શકે, અને સમ્યકત્વ પામ્યા નથી તેવા અવેદ્યસંવેદ્યપદવાળા જીવોમાં મંદમંદ પણ મિથ્યાત્વનો ઉદય અવશ્ય વર્તે છે, અને તે મિથ્યાત્વના ઉદયથી વિપર્યાસ પણ વર્તે છે, અને તે મિથ્યાત્વનો ઉદય વ્યક્તરૂપે વિપર્યાસમાં પ્રવર્તતો હોય ત્યારે ધર્મની પ્રવૃત્તિથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે, અને જ્યારે તે મિથ્યાત્વનો ઉદય ઉપયોગમાં વ્યક્તરૂપે પ્રવર્તતો ન હોય ત્યારે ધર્મની પ્રવૃત્તિથી બંધાતું પુણ્ય નિરનુબંધ છે.
વળી આ ચાર દૃષ્ટિવાળા જીવોમાં અવેદ્યસંવેદ્યપદ હોવાને કારણે ભવાભિનંદીપણાના કંઈક અંશો પણ છે, તેથી ભવના કારણભૂત એવા વિપર્યાસને સારરૂપે જુએ છે. તેથી આવા જીવો સંસારની પ્રવૃત્તિ કરીને પાપ બાંધતા હોય ત્યારે સાનુબંધ પાપ બાંધે છે; કેમ કે સાનુબંધ પાપમાં અનંતાનુબંધીના ઉદયથી પ્રગટ થયેલા રાગ-દ્વેષ અને મિથ્યાત્વના પ્રાબલ્યનું કારણ પણું છે, અને પ્રથમની ચાર દૃષ્ટિ સુધી જીવોમાં હજુ કંઈક અંશે પ્રબળ રાગ-દ્વેષ અને મિથ્યાત્વ વિદ્યમાન છે, ફક્ત ગુણવાન પુરુષના સાંનિધ્યથી તે નિવર્તન પામે તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org