________________
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
૧૭
અહીં વિશેષ એ છે કે કોઈક ક્રિયા તત્કાળ ફળ આપનારી હોય છે તો કોઈક ક્રિયા કાલાંતરે ફળ આપનારી હોય છે. જેમ લેખનક્રિયા કરવાથી લખાણની પ્રાપ્તિરૂપ તેનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. આવી તત્કાળ ફળ આપનારી ક્રિયામાં ભાવવ્યાપાર માનવાની જરૂર નથી.
વળી કેટલીક ક્રિયા કર્યા પછી તેનું ફળ કાલાંતરે મળે છે. જેમ દૂધમાં મેળવણ નાંખવાની ક્રિયા કર્યા પછી દહીંરૂપ ફળ કાલાંતરે પ્રાપ્ત થાય છે. તે સ્થાનમાં મેળવણ નાખવાની ક્રિયાનો ધ્વંસ દહીંની પ્રાપ્તિનું કારણ છે, તેમ કહેવાય નહીં; પરંતુ મેળવણની ક્રિયાથી દૂધમાં કોઈક પરિણામાંતર થાય છે, જે પરિણામાંતર ઉત્તર-ઉત્તર પરિણામાંતરને પામીને દહીંરૂપ ફળને આપે છે. તેમ કોઈ પુરુષ શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરે ત્યારે તે ક્રિયાકાળમાં વર્તતા શુભ પરિણામથી આત્મા ઉપર લાગતા કર્મપરમાણુઓમાં કોઈક શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે અને આત્મા સાથે સંબદ્ધ થયેલા શક્તિવિશેષવાળા કર્મપરમાણુઓ ક્રમસર ઉત્તર-ઉત્તર પર્યાયને પામે છે, અને જ્યારે તે કર્મ પરમાણુઓનો ઉદયપર્યાય પ્રાપ્ત થાય છે ત્યારે ફળ પ્રાપ્ત થાય છે.
આથી વિહિત કે નિષિદ્ધ અનુષ્ઠાન કર્મબંધ દ્વારા પરલોકના ફળના સાધક છે, તેમ સ્વીકારવું ઉચિત છે. આમ છતાં એમ કહેવામાં આવે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વંસ દ્વારા પરલોકના ફળને આપે છે તો અનુભવને પણ ધ્વંસ દ્વારા સ્મૃતિજનક સ્વીકારવાની આપત્તિ આવે, અને તેમ સ્વીકારીએ તો સંસ્કારના ઉચ્છેદને માનવાની આપત્તિ આવે.
વસ્તુતઃ કોઈપણ પદાર્થનો બોધ થાય છે ત્યારે તે બોધથી આત્મા ઉપર તે ફળનો સંસ્કારો પડે છે, અને તે સંસ્કાર દ્વારા તે પદાર્થની કાલાંતરમાં ઉપસ્થિતિ થાય છે, એ પ્રકારનો સર્વજનપ્રસિદ્ધ વ્યવહાર છે. તે સ્થાનમાં પણ જેમ પદાર્થના બોધકાળમાં થતા અનુભવના ધ્વંસને કાલાંતરમાં થતી સ્મૃતિનો જનક સ્વીકારીને સંસ્કારનો અપલાપ ન કરી શકાય, તેમ વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાન ધ્વંસ દ્વારા કાલાંતરમાં ફળ ઉત્પન્ન કરે છે, તેમ સ્વીકારીને અદ્દષ્ટનો અપલાપ ન કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org