________________
૭૪]
ત્રીજા ગણધરનો વાદ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
પ્રસિદ્ધિમાં જ ઘટી શકે, અન્યથા ન ઘટી શકે, કારણકે જે સત્તારૂપે જ અપ્રતીત હોય એવા શબ્દાદિમાં કૃતકત્વાદિ હેતુઓ વડે અનિત્યતાદિ ધર્મો કોણ સાધે ?, તેમ અહીં પણ સત્તારૂપે જ અપ્રસિદ્ધ એવા ધર્મીમાં ક્ષણિકતાદિ ધર્મ કેવી રીતે સધાશે ?, વળી એકાલંબનવાળું જે ક્ષણિક વિજ્ઞાન તે આ પ્રમાણે જાણી શકે પણ નહિ કે અન્ય જ્ઞાનો છે, અને તેના વિષયો છે, વળી તે જ્ઞાનો અને વિષયોના સ્વવિષયજ્ઞાનોત્પાદક વગેરે ધર્મો છે. અને જો એ પ્રમાણે જ્ઞાન ન થાય, તો એ સર્વમાં ક્ષણિકતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? કારણ કે જેમાં જેમાં એ ક્ષણિકતા ધર્મ સિદ્ધ કરવાનો છે, તે તે ધર્મીની જ પ્રસિદ્ધિ નથી.
વળી તેઓ કદી એમ કહે કે સ્વવિષયાનુમાનથીજ બીજા વિજ્ઞાનાદિની સત્તા વગેરે સિદ્ધ થઈ શકશે, જેમકે - હું છું, તેમ અન્ય જ્ઞાનો પણ છે, તથા જેમ મારો વિષય છે તેમ બીજા જ્ઞાનના વિષયો પણ છે, વળી જેમ - હું અને મારો વિષય ક્ષણિક છીએ તેમ અન્ય જ્ઞાનો અને અન્ય જ્ઞાનના વિષયો પણ ક્ષણિક છે, એ પ્રમાણે સર્વની સત્તા અને ક્ષણિકતા સ્વવિષયાનુમાનથી સિદ્ધ થશે.
તેઓનું એ કથન પણ સર્વથા અયોગ્ય છે. કારણ કે સર્વ ક્ષણિકતા ગ્રાહક જ્ઞાન ક્ષણ વિનાશી હોવાથી, ઉત્પન્ન થયા પછી “હું મરેલા જેવો છું અને ક્ષણિક છું' એમ પોતાને પણ જાણી શકતું નથી, તો પછી અન્ય જ્ઞાનો છે, અને તેના વિષયો છે, એ પ્રમાણેનું જ્ઞાન તો તેને ક્યાંથી જ થાય ?, અને વળી એવું ક્ષણવિનાશી જ્ઞાન પોતાના વિષય માત્રની પણ ક્ષણિકતા નથી જાણતું, કેમકે તેમના મતે તે જ્ઞાન અને વિષય બન્નેનો સમાનકાળમાં જ નાશ થાય છે. જો કદી તે જ્ઞાન પોતાના વિષયને નાશ પામતો જોઈને, તગત ક્ષણિકતાનો નિશ્ચય કરીને, પછી કાલાન્તરે પોતે નાશ પામે, તો તેને સ્વવિષયગત ક્ષણિકતાનો બોધ થાય, પણ એમ તેઓ માનતા નથી. તેઓ તો જ્ઞાન અને વિષય પોત-પોતાનો ક્ષણ ઉત્પન્ન કરીને સમકાળે જ નાશ પામે છે, એમ માને છે. વળી બૌદ્ધો સ્વસંવેદન પ્રત્યક્ષથી કે ઈન્દ્રિયપ્રત્યક્ષથી ક્ષણિકતા નથી માનતા, પણ અનુમાનથી માને છે.
એ સિવાય તેઓ એમ કહેવા માંગે કે પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણો, ઉત્તરોત્તર વિજ્ઞાનક્ષણોમાં એવા પ્રકારની વાસના ઉત્પન્ન કરે છે, કે જે વાસના વડે - એકાલંબનવાળું ક્ષણિક વિજ્ઞાન, બીજાં જ્ઞાનો અને તેમના વિષયોના સત્તા-ક્ષણિકતા વગેરે ધર્મો જાણે છે, આથી સર્વ ક્ષણિક છે એવું જ્ઞાન માનવામાં અમારે કંઈ વિરોધ નહીં આવે.
તેઓનું એ કથન પણ અયોગ્ય છે, કારણ કે એ વાસના પણ વાસક અને વાસનીય બંને વિદ્યમાનનો સંયોગ હોય, તોજ ઘટી શકે, પણ ઉત્પન્ન થયા પછી તરતજ નાશ પામે તે ન ઘટી શકે. જો વાસક અને વાસ્યના સંયોગવડે બંનેનું અવસ્થાન માનવમાં આવે, તો ક્ષણિકતા ન ટકી શકે, અને વળી એ વાસના પણ ક્ષણિક છે કે અક્ષણિક છે ? જો તે ક્ષણિક હોય, તો તેનાથી સર્વ ક્ષણિકતાનું જ્ઞાન કેવી રીતે થાય ? અને અક્ષણિક હોય, તો ‘સર્વ ક્ષણિક છે’ એવી તમારી પ્રતિજ્ઞાની હાનિ થાય. એ રીતે બૌદ્ધોનો ક્ષણિકવાદ કોઈ પણ રીતે યુક્તિસંગત નથી. ૧૬૭૬-૧૬૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org