________________
[૩૫
ભાષાંતર]
ગૌતમ ગણધરનો વાદ. જે સમાનધર્મો છે તે પ્રત્યક્ષ થવાથી, અને ગતિ મસ્તક ખજવાળવું-પક્ષીના માળા-લતાનું પડવું વિગેરે પુરુષ તથા સ્થાણુ બન્નેના જુદા જુદા ધર્મો પ્રત્યક્ષ ન થવાથી, માત્ર ઉભયગત ધર્મોનું સ્મરણ થતાં સ્થાણુ અથવા પુરુષ એ બેમાંના એકનો નિશ્ચય કરવા ઈચ્છનારાને “આ શું છે ?” એવો વિમર્શરૂપ સંશય થાય છે. આવા પ્રકારના સંશયમાં તે સ્થાણુ અથવા પુરુષાદિ વસ્તુનો અભાવ નથી, કેમકે જે વસ્તુ જ ન હોય, તેનો સંશય ક્યાંથી થાય ? ન જ થાય.
એજ પ્રમાણે આત્મા અને શરીરના સામાન્ય વિશેષ ધર્મ જાણનાર પ્રમાતાને એ ઉભયના સામાન્ય ધર્મ પ્રત્યક્ષ થવાથી અને વિશેષ ધર્મ પ્રત્યક્ષ ન થવાથી, તે સંબંધી સ્મરણ થતાં બેમાંથી એકનો નિશ્ચય કરવા ઇચ્છનારાને “આ આત્મા છે? કે કેવળ શરીર જ છે ?” એવા વિમર્શરૂપ સંશય થાય છે. આવો સંશય જો આત્મા અને શરીર એ બે પદાર્થો સ્વતંત્રપણે હોય, તો જ થાય છે. બેમાંથી એકનો પણ અભાવ હોય, તો તે ન થાય. અહીં કદી તું એમ કહીશ કે અરણ્યાદિમાં સ્થાણુ-પુરુષનો સંશય થએ, ત્યાં અથવા અન્ય સ્થળે બેમાંથી એક વસ્તુ હોય છે, પણ બન્ને વસ્તુ નથી હોતી, તો પછી વિદ્યમાન વસ્તુમાં જ સંશય થાય, એમ કેમ કહો છો ? તારું આ કથન મારો અભિપ્રાય જાણ્યા વિનાનું છે, કારણ કે અમે એવું કંઈ નથી કહેતા, કે તે જ સ્થળે ઉભય વસ્તુ હોવી જોઇએ, અમે તો એમ કહીએ છીએ કે જે સંબંધી સંદેહ થાય, તે વસ્તુ ત્યાં અથવા અન્ય સ્થળે અવશ્ય હોય છે જ, (હોવીજ જોઇએ) માટે સંશયના વિષયપણાથી જીવ છે જ.
જો એ પ્રમાણે જે સંબંધી સંશય થાય, તે વસ્તુ અવશ્ય હોવી જોઈએ, એમ કહેતા હો, તો કોઈ ને ગધેડાના શીંગડાં સંબંધી સંશય થાય, જેમકે “આ ગધેડાનાં શીંગડા છે કે અન્ય બળદ આદિનાં છે ?” આથી તો તે ગધેડાનાં શીંગડાં પણ હોવાં જોઇએ, એમ થયું. જો તું એ પ્રમાણે કહેતો હોય, તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે હમણાંજ ઉપર કહ્યું છે, ત્યાં અથવા અન્યત્ર વિદ્યમાન વસ્તુ હોય, તો તેમાં સંશય થાય છે, અવિદ્યમાન વસ્તુમાં નથી થતો. ગધેડાનાં શીંગડાં નથી, એટલે કે ગધેડાને શીંગડાનો અભાવ છે. પણ અન્યત્ર બળદ વિગેરેને તો તે છે જ, માટે કાંઈ દોષ નથી. આજ પ્રમાણે સ્થાણુમાં આ પુરુષ જ છે ?” ઇત્યાદિ વિપર્યય કોઈ કરે તોપણ આજ ન્યાય-યુક્તિ સમજવી. કેમકે સ્થાણુમાં પુરુષનો વિપરીત જે ગ્રહ થાય છે, તે સ્થાણુથી વિપરીત પુરુષ વિદ્યમાન હોય તોજ થાય છે અન્યથા નથી થતો. એ પ્રમાણે તમારા અભિપ્રાય પ્રમાણે શરીરને વિષે આત્માનું નાસ્તિત્વ માન્ય છે, પણ આત્માનું સર્વથા નાસ્તિપણું ઘટતું નથી. વળી બીજા પ્રકારે આત્માની સિદ્ધિ કરે છે.
अस्थि अजीवविवक्खो पडिसेहाओ घडोऽघडस्सेव ।
नत्थि घडोत्ति व जीवत्थित्तपरो नत्थिसद्दोऽयं ॥१५७३।। પ્રતિષેધથી (જીવની સિદ્ધિ થાય છે) અઘટનો પ્રતિપક્ષી જેમ ઘટ છે તેમ અજીવનો પ્રતિપક્ષી જીવ છે. “ઘટ નથી” ઇત્યાદિની જેમ “જીવ નથી' એમાંનો એ “નથી” શબ્દ “જીવ છે” એમ સિદ્ધ કરે છે. ૧૫૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org