SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સરળ કૃતિ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી હદે રહસ્યવાળી કઠિન કૃતિઓ પણ છે. એમણે રચેલી સંસ્કૃત તથા પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ, પ્રકાશિત કૃતિઓ નીચે પ્રમાણે છેઃ ૧. અધ્યાત્મ મત પરીક્ષા—આ ગ્રંથનું બીજું નામ ‘અધ્યાત્મ મત ખંડન' છે. કર્તાએ મૂળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે. તેના ઉપર પોતે જ ચાર હજાર શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગમ્બર માન્યતાનું ખંડન કરીને કેવલીને કવલાહાર અવશ્ય હોઈ શકે એમ તર્કયુક્ત દલીલો સાથે સિદ્ધ કર્યું છે. દિગમ્બરોની બીજી માન્યતા કે તીર્થંકરોનું પરમૌદારિક શરીર ધાતુરહિત હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું છે. ૨. અધ્યાત્મસાર : સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૯૪૯ શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યક્ત્વ, મિથ્યાત્વ ત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. ૩. અધ્યાત્મોપનિષદ : સંસ્કૃતમાં અનુષ્ટુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર છે: (૧) શાસ્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગાધિકાર (૩) ક્રિયાધિકાર અને (૪) સામ્યાધિકાર. એમાં કર્તાએ તે તે વિષયોની છણાવટ કરી છે. ૪. અનેકાન્ત વ્યવસ્થા : કર્તાએ ૩૩૫૭ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. ૫. દેવધર્મ પરીક્ષા : ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે તેનું એમાં આધાર સાથે સમર્થન કરવામાં આવ્યું છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તેવા દેવોને અધર્મી કહે છે, તે વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. ૬. જૈન તર્ક પરિભાષા : કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું તર્કયુક્ત નિરૂપણ કર્યું છે. ૭. ગુરુતત્ત્વવિનિશ્ચય : કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૦૫ બ્લોક પ્રમાણનો રચ્યો છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં સાત હજાર શ્લોકમાં ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યથાર્થસ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે. ૮. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા : આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશનામાર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સભ્યષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે. તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના થઈ છે. તેના ઉપર પોતે જ રચેલી ટીકાની શ્ર્લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે. ૯. યતિલક્ષણ સમુચ્ચય : આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. Jain Education International2010_05 33 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy