________________
દીક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી “સુજસવેલી ભાસ'ના રચયીતા શ્રી યશોવિજયજીના સમકાલીન હતા અને હસ્તપ્રતિ તો ત્યાર પછીની મળે છે, જયારે શ્રી નવિજય ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય. વળી શ્રી યશોવિજયજીએ જે વિપુલ સાહિત્યની રચના કરી છે તથા જે શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે જોતાં તેટલું કાર્ય કરવા માટે ૬૩-૬૪ વર્ષનું આયુષ્ય કદાચ ઓછું પડે. વળી તેમણે અનશન કરીને દેહ છોડ્યો હતો. એ માટે પણ તે ઉંમર સહેજ વહેલી ગણાય. પોતે તપસ્વી સાધુ હતા, બાળ બ્રહ્મચારી હતા, યોગવિદ્યાના અભ્યાસી હતા, સમતારસથી સભર જ્ઞાની હતા. એટલે એમણે સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું હશે એમ માનવાને વધુ કારણ રહે છે. આ વિષયમાં જ્યાં સુધી વધુ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી એમની જન્મસાલ વિશે થોડીક અનિશ્ચિતતા રહેવાની. જન્મસ્થળ અને દીક્ષા
સુજસવેલી ભાસમાં જણાવ્યા પ્રમાણે ગુર્જરદેશમાં કનોડું નામ ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું નામ સોભાગદે (સૌભાગ્યદેવી) હતું. તેઓને જશવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગેર (કુમારગિરિ)માં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નવિજયજી કનોડું (કનોડા) ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુપુરુષનાં ચરણોમાં વંદન કર્યું. ગુરુના ધર્મોપદેશથી જશવંતકુમારને વૈરાગ્યનો ભાવ થયો. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જશવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જશવિજય (શ્રી યશોવિજય) રાખવામાં આવ્યું.
વળી, સોભાગદેના બીજા પુત્ર પદ્મસિહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. “સુજસવેલી ભાસ'માં લખ્યું છે :
અણહિલપુર પાટણ જઈજી, ભૂઈ ગુરુ પાસે ચરિત્ર; યશોવિજય એવી કરીજી, થાપના નામની તત્ર. પદમસિંહ બીજો વલીજી, તસ બાંધવ ગુણવંત; તેહ પ્રસંગે પ્રેરિયોજી, તે પણ થયો વતવંત, વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ;
બિતું તે સોલ અઠિયાસિયૅજી કરતાં યોગ અભ્યાસ.” અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળનો નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નયવિજયજી ગુરુનાં સૌપ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કનોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કનોડુંમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિષે અન્ય કોઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું (કનોડા) હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી. કનોડા ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું છે.
19
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org