________________
અણુવ્રત આંદોલનની ઉપાદયતા
૧૫૫
ઉપરોક્ત સમસ્યાઓના સંદર્ભમાં અણુવ્રત-વર્ષ નિમિત્તે કેટલાક સંકલ્પો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જાતિ કે રંગભેદને આધારે ઉચ્ચનીચના ભેદભાવ નહિ રાખીને વિશ્વબંધુત્વની ભાવના કેળવવા; કોઈની ધાર્મિક સ્વતંત્રતામાં બાધક ન બનવા અને ધાર્મિક સહિષ્ણુતા રાખવા; નિરપરાધ પ્રાણીની કે અનાવશ્યક હિંસા ન કરવા; પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરેનો અનાવશ્યક - અમર્યાદિતપણે ઉપયોગ નહિ કરીને સંયમિત જીવન જીવવા માટે; મર્યાદિત પ્રમાણમાં ઉપભોગ્ય વસ્તુઓ વાપરવા, અપરિગ્રહનાં પાલન માટે અને વ્યસનથી મુક્ત રહેવા માટેનાં સંકલ્પો અને તેનું આચરણ વ્યક્તિ અને સમાજજીવનના ઉત્કર્ષ માટે અવશ્ય ઉપયોગી બની શકે તેમ છે. આ ઉપક્રમ દ્વારા સ્વસ્થ સમાજ સંરચના અથવા અહિંસક સમાજ-રચના સંભવિત બની શકે તેમ છે. અત્યારના અર્થપ્રધાન દૃષ્ટિકોણને બદલવા માટે અર્થને જીવનનું સાધ્ય નહિ પણ જીવનયાપનનું સાધન માનવાનો સ્પષ્ટ અનુરોધ કર્યો છે. દર્શનની પૃષ્ઠભૂમિનો આધાર લઈને જ અર્થ અને કામની પ્રાપ્તિને તેમણે આવકારી છે. અણુવ્રત આંદોલન દ્વારા જનમાનસભામાં તપ-ત્યાગ અને સંયમની ભાવનાનો પ્રકાશ પ્રગટાવીને સમાજ તથા રાષ્ટ્રનો ઉત્કર્ષ સાધવાનો ઉન્નત પ્રયાસ અણુવ્રત આંદોલન દ્વારા થઈ રહ્યો છે.
અણુવ્રત આંદોલન દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો અને નીતિનિયમો-વિચાર અને વ્યવહારની ભૂમિકાએ સમાજજીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન સાધીને નૂતન સમાજની સંરચના કરવાનું સામર્થ્ય અવશ્ય ધરાવે છે. અણુવ્રતપ્રેરિત જીવનશૈલીમાં જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ મળી શકે તેમ છે. આ જીવનશૈલીથી એક સ્વસ્થ, આરોગ્યપ્રદ, આનંદમય, નિવૃત્તિ-પ્રવૃત્તિપરક જીવનનું ઘર અને ઉન્નત ચારિત્ર્યનું નિર્માણ થઈ શકે છે. આ અર્થમાં અણુવ્રત જીવનનો પ્રકાશપુંજ છે.
અહિંસા, સત્ય આદિ અણુવ્રતોનું પાલન મનુષ્યને વેર-ઝેર, શોક-ભય, રાગદ્વેષ આદિ કષાયોથી મુક્ત કરીને સ્વસ્થ અને શાંતિપ્રદ મનોવૃત્તિઓ આપે છે. આ અણુવ્રતોની પૃષ્ઠભૂમિ છે અભય અને એનું સુરક્ષા કવચ છે સહિષ્ણુતા. અપરિગ્રહની વૃત્તિ મનની અને ઇન્દ્રિયોની ચંચળતાને નિયંત્રણમાં રાખે છે. ઇન્દ્રિયશુદ્ધિ અને મનઃશુદ્ધિથી વ્યક્તિનું જીવન અનુશાસિત અને શુદ્ધ બનતા સમાજજીવન પણ સુસંવાદી અને વ્યવસ્થિત બને છે. આજની અરાજક, વિસંવાદી અને વિષમ પરિસ્થિતિમાં સંતુલન સાધવા માટે અણુવ્રત અવશ્ય માર્ગદર્શક બની શકે તેમ છે.
અણુવ્રત કેવળ આધ્યાત્મિક કે ધાર્મિક વ્યવસ્થાનો જ પર્યાય નથી. રાજકીય, આર્થિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે. આજની ભ્રષ્ટાચારયુક્ત રાજનીતિ અને તેને કારણે થતાં પ્રજાના શોષણ સામે પણ અણુવ્રત આંદોલને જેહાદ જગાવી છે. શિક્ષણક્ષેત્રે કેટલાંક મહત્ત્વનાં પરિવર્તન કરીને એક આગવી શિક્ષણપદ્ધતિ પણ વિકસાવી છે. વિદ્યાર્થીઓને અણુવ્રતનું મહત્ત્વ સમજાવીને સંયમ અને સહિષ્ણુતાના માર્ગે આગળ વધવા તે પ્રેરણા આપે છે. જાતિ અને સંપ્રદાયની દીવાલોને ભેદવા અને વિશ્વબંધુત્વની ભાવનાને ચરિતાર્થ કરવા તે સતત પ્રયત્નશીલ છે. ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના સંદર્ભમાં જોઈએ તો આચાર્ય તુલસીએ પણ માનવમૂલ્યોનો હ્રાસ થતો અટકાવવા સામાજિક ક્રાન્તિનો જ આરંભ કર્યો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org