________________
૨૪૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ક્રોધ, માન ઇત્યાદિ કષાયોથી રહિત બનાવવાનું હોય છે. પરંતુ તેને બદલે તેવા કષાયોને પોષણ મળવાનો સંભવ રહે છે. વળી બીજા શિષ્યોની ચાડીચુગલી કરવાની વૃત્તિ પણ થઈ આવે છે અને ક્યારેક અસત્યનો, માયાચારનો આશ્રય પણ લેવાઈ જાય છે. આ બધામાંથી બચવું હોય તો વાણી ઉપરનો સંયમ અત્યંત જરૂરી છે. એ માટે જુદી જુદી જાતની તકેદારી રાખવાની જરૂર છે. એમાંની એક તે વગર પૂછ્યું ન બોલવા વિશેની છે. માણસ જ્યારે કંઈક વિશેષ જાણતો હોય છે અથવા પોતાને કોઈક વાતની વહેલી ખબર પડી જાય છે ત્યારે એના પેટમાં વાત રહેતી નથી અને વગર પૂછ્યું પણ એ વાત ઉચ્ચારાઈ જાય છે અને એ દ્વારા જશ ખાટી જવાની વૃત્તિ સંતોષાય છે.
ભગવાને ગુરુ-શિષ્યના સંબંધને લક્ષમાં રાખીને જે ભલામણ કરી છે તે ગૃહસ્થોના અંગત અને જાહેર જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. આપણી કેટલીયે સામાજિક સંસ્થાઓની સમિતિઓમાં પોતાના વક્તવ્યને રજૂ કરવા અંગે ઠીક ઠીક ગેરશિસ્ત પ્રવર્તતી હોય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સભાસંચાલનમાં વચ્ચે બોલીને દખલગીરી કરે છે. સભાધ્યક્ષના આદેશો ન માનવામાં જ મોટાઈ મનાય છે. ઘણી સભાઓમાં જેમ નમૂનારૂપ શિસ્ત જોવા મળે છે તેમ ગેરશિસ્ત પણ જોવા મળે છે. અંગત તેમ જ જાહેર જીવનમાં શિસ્ત વગર કોઈપણ પ્રજા બહુ પ્રગતિ ન કરી શકે. શિસ્તના પાઠ બોલવાબેસવાની આવી નાની નાની વાતોથી શરૂ થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org