________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા
૫૩
પહોંચાડવાનું છે.
પુદ્ગલ તો પોતાના સ્વભાવ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શનાં વિવિધ પરિણામોમાં પ્રવર્તે જ છે. ત્યાં કોઈ આડખીલી નથી.
આડખીલી ચેતન – આત્માના વિકાસમાં પદ્ગલિક ભાવોના આકર્ષણથી સ્વભાવ વિસ્મૃતિ થવાથી ઘણા અવરોધો ઊભા થાય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ-મહાસત્તાને માન્ય ન રાખનાર ચેતનતત્ત્વને કર્મસત્તા હેરાન કરે છે. એટલે ધર્મ-મહાસત્તાના વર્ચસ્વને ટકાવવા કર્મસત્તા ઉપયોગી છે.
પરંપરાએ ધર્મ-મહાસત્તાના કાર્યને વેગ આપવાનું કામ કર્મસત્તાનું છે. ધર્મ-મહાસત્તાની આજ્ઞા શિરોધાર્ય ન કરનારને કર્મસત્તા ઠેકાણે લાવે છે. એટલે કર્મસત્તા ધર્મસત્તાને પોષનારી નીવડે છે.
જે પુણ્યાત્મા નિષ્કામ ભાવનાએ ધર્મમહાસત્તાને સમર્પિત થઈ જાય છે તેને કર્મસત્તા પણ , અનુકૂળ થઈ જાય છે. જેમ કે શ્રીમતીને નાગ પણ ફૂલની માળા થઈ ગઈ.
એક ગામમાં કો'ક શેઠની શ્રીમતી નામની પત્ની હતી. શ્રીમતીને ઘણા સાધુ-સાધ્વીઓના પરિચયથી શ્રી નવકાર મહામંત્ર પર શ્રદ્ધા બેઠી અને દુઃખે-સુખે બધામાં શ્રી નવકાર પરમાધાર રૂપ છે એમ હૈયામાં સચોટશ્રદ્ધા બેસી ગઈ. તેનો પતિ જૈનેતર સંસ્કારોથી પ્રભાવિત એટલે જૈનોના નવકારમંત્રને પોતાની પત્ની ગણે તે તેને ગમ્યું નહીં. પોતાની પત્નીને તે મંત્ર ન ગણવા દબાણ કરવા લાગ્યો. પણ શ્રીમતી ચુસ્ત શ્રદ્ધાળુ બની ગણતી રહી, છેવટે તેના ધણીએ ગુસ્સે થઈ તેની સાથે બોલવા - ચાલવાનું બંધ કર્યું. છેવટે નવી પરણવાના વિચારમાં વળ્યો. પણ એક સ્ત્રીની હાજરીમાં બીજી કન્યા મળે નહીં. એટલે તેને એમ થયું કે, ગમે તેમ કરી શ્રીમતીને મારી નાંખ્યું એટલે બીજી પરણવા થાય. એમ વિચારી પૈસા આપી મદારી પાસેથી કાળો ભુજંગ નાગ એક ઘડા(કાણાંવાળા)માં પૂરી ઉપર બરાબર મોં બાંધી પોતાના ઘરના અંદરના ઓરડામાં મૂક્યો, પછી પોતે પૂજા કરવા બેઠો અને શ્રીમતીને કહે છે કે સાંભળે છે! અંદરના ઓરડામાં ઠેઠ પટારાની અંદર ઘડામાં ફૂલની માળા છે તે લાવોને! ઓરડો ખાસ વપરાતો ન હતો. વળી અંધારિયો હતો, અને વળી પટારામાં ફૂલની માળાનો ઘડો. આ બધા મુદ્દાથી શ્રીમતીને ડર લાગ્યો, નવકાર મંત્ર મનમાં ગણતી અંધારા ઓરડામાં ગઈ, દીવો કરી પટારાને ખોલ્યો, અંદર ઘડાનું મોં કપડા-ઢાંકણાથી પેક કરેલ, તે ખોલ્યું. અને નવકાર ગણવા સાથે અંદર હાથ નાંખ્યો કે ફૂંફાડા મારતો નાગ હાથે વળગ્યો ત્યાં નવકાર ગણવાથી નાગ ફૂલની માળા બની ગયો. ફૂલની માળા લઈ શ્રીમતી ધણી પાસે આવી. તેના ધણીએ તે શ્રીમતી નાગ કરડવાથી મરી જશે જ એમ ઘારેલ તેના બદલે શ્રીમતી ખરેખર ફૂલનો હાર લઈ આવી. આ જોઈ ધણી ખૂબ ચકિત થયો અને શ્રીમતીના પગમાં પડી નવકારમંત્રની શ્રદ્ધાથી વાસિત બન્યો.
આ રીતે બિનશરતી ધર્મસત્તાની શરણાગતિ કર્મસત્તાના ત્રાસમાંથી છોડાવે છે. તમો પણ ધર્મ-મહાસત્તાના શરણે રહી જીવનને ઉજ્જવળ બનાવો એ શુભેચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org