SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કપડવંજને જ પ્રાપ્ત થયું છે. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ દોશી. એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ખૂબ આસ્થા. તેમાંય માણેકબહેનને તો ધર્મ તરફ વિશેષ અનુરાગ. વળી, આજથી પોણોસો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું ત્યારે પણ, માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કર્યો હતો. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૨ના કારકત સુદિ પાંચમ (જ્ઞાનપંચમી કે લાભપાંચમ)ના પર્વ દિવસે થયેલો. તેઓનું નામ મણિલાલ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઊછરેલ-અને તે પણ જાણે કાળના મોમાં કોળિયો થતાં બચી ગયું હોય એ રીતે ! કુટુંબની સ્થિતિ સામાન્ય, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા હતા, અને એકલા માણેકબહેન વતનમાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા, એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ પણ ત્યાં દોડી આવ્યા. એમણે એક મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને, માનવતાની ભાવનાથી પ્રેરાઈને ઘરમાં દોડી જઈને, એ ભલા સગૃહસ્થ એ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી; એ તો હાંફળાફાંફળા આવી પહોંચ્યા. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું ! એમને થયું કે ઘરના એકના એક વંશવેલાને પણ આગે ભરકી લીધો ! એમનાં દુઃખનો પાર ન રહ્યો. પેલા વહોરા ગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું ! એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઈન્સાન હતા, અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈ હિંદુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિંદુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવરાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું એટલે બીજે દિવસે સવારે એમણે ઘેરઘેર ફરીને તપાસ કરી. આખરે માણેકબહેનને પોતાનો દિકરો સાજોસારો મળી ગયો! એમના આનંદનો પાર ન રહ્યો ! મણિલાલને જાણે તે દિવસથી રામના રખવાળાં મળ્યાં ! ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી, એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મુંબઈમાં રહી મણિલાલે પ્રાથમિક શિક્ષણ લીધું. પણ માતા અને પુત્રનો ભાગ્યયોગ કંઈક વિલક્ષણ હતો. અને એમાં કુદરતનો કોઈ અકળ સંકેત છુપાયો હતો. ૨૭વર્ષની નાની ઉંમરે માણેકબહેન વિધવા થયાં ! તત્કાળ તો ઉપર આભ અને નીચે ધરતી જેવી એકતલા અને નિરાધારી તેઓ અનુભવી રહ્યાં. ચિત્તમાં જાણે સૂનકાર છવાઈ ગયો. પણ એમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી, એટલે આવા કારમા સંકટ વખતે ધર્મ જ સાચો સહારો આપી રહ્યો. માણેકબહેનને સંસાર સાર વગરનો લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું અને એ અસાર સંસારનો ત્યાગ કરવા તૈયાર થયાં. પણ વચમાં એક અવરોધ હતો ઃ ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું? એને કોને ભરોસે સોંપવો? મણિલાલ પણ કંઈ પાછો પડે એવો ન હતો. એણે મન સાથે નક્કી કર્યું હતું ઃ બા કહે તેમ કરવું. શ્રી પુણ્યચરિત્રમ્ 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy