________________
નિઃસ્પૃહયોગી પૂ. ગુરુદેવ આગમોનું સંશોધન પોતાના જીવનકાર્યની જેમ પૂરા યોગથી કરતા. ઉપરાંત, તેમની પાસે કેટલાયે વિદ્વાનો પ્રસ્તાવના, લેખો વગેરે લખાવવા આવતા, તે બધાંને પણ તેઓ સંતોષકારક જવાબ આપતા. પુસ્તક પ્રાપ્ત કરવા માટે આવનારને પુસ્તકો ગમે ત્યાંથી પ્રાપ્ત કરાવી આપતા. જ્ઞાનપિપાસુને જ્ઞાનનું દાન કરવામાં જરાય કંજૂસાઈ કરતા નહિ. તેમણે જીવનની સમગ્ર શક્તિઓ ધર્મને, સંઘને અને જનસમુદાયને સમર્પિત કરી હતી, અને જાણે ‘આગમસંશોધન’ માટે તો ભેખ જ લીધો હતો. આવા ભેખધારી નિઃસ્પૃહયોગી જગતમાં પ્રાપ્ત થવા અતિદુર્લભ છે.
ભર્તૃહરિએ વૈરાગ્યશતકના એક શ્લોકમાં કહ્યું છે કે માનવીનું આયુષ્ય શતમ્ એટલે સો વર્ષનું હોય છે. તેમાંથી અડધા એટલે પચાસ વર્ષ રાત્રિમાં જાય છે. શેષ પચાસ રહ્યાં, તેમાંથી બાલ્યાવસ્થામાં, વૃધ્ધાવસ્થામાં, રાગ-વ્યાધિઓથી ગ્રસ્ત થવામાં તથા બીજાની સેવા કરવામાં દિવસો, મહિનાઓ તથા વર્ષો જતાં રહે તો માનવીને પોતાની આરાધના તથા સાધના માટે કેટલો સમય મળે? પૂ. ગુરુદેવ તો કોઈ અલૌકિક, અનોખી અને દુનિયાથી પર વ્યક્તિ હતા. તેમની દીક્ષાના ત્રેસઠ વર્ષના પર્યાયમાં સાડાએકત્રીસ વર્ષ રાત્રિના આવે. પરંતુ ૩૧। વર્ષની અડધી રાત્રિ પણ ગુરુદેવે નિદ્રા લીધી નહિ હોય. તેઓ હંમેશાં રાત્રિના નવ વાગે પ્રતિક્રમણ કરી કાર્ય કરવા માટે બેસતા હતા, તે રાત્રિના બે-અઢી વાગે ત્યાં સુધી કામ કરતા રહેતા; તેમને સમયની ખબર જ પડતી નહિ! મહિનાના ત્રીસ દિવસમાં આખી રાત્રિ ક્યારે પણ નિદ્રાદેવીના ખોળે નહિ પડયા હોય. બે કલાક નિદ્રા લઈ ચાર-સાડા ચાર વાગે ઊઠી પ્રતિક્રમણ કરતા, ભગવાનનો જાપ કરતા અને દરેક કાર્ય સમયસર કરતા. જીવનમાં કેવળ જ્ઞાનનો જ વ્યાસંગ હતો, એવું ન હતું; ધર્મક્રિયા, પ્રભુભક્તિ, બીમાર હોય તેને ધર્મશ્રવણ કરાવવું વગેરે દરેક કાર્યમાં તેઓને રસ હતો.
તેમનામાં ખાસ વિશિષ્ટતા હતી કે, ક્યારે પણ બહાર જતા, તો સૌથી પ્રથમ તેમનાં પાનાં-પોથીને યાદ કરતા. છેલ્લે પૂજ્ય ગુરુજીને હરસનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં દાખલ થવાનું હતું, ત્યારે તેઓશ્રી ‘આવશ્યક ચૂર્ણિ’નું સંશોધન કરતા હતા. તેનાં થોડાં પાનાં સંશોધન કરવાનાં બાકી હતાં, તે પણ હોસ્પિટલમાં રાત્રિના બે-અઢી વાગ્યા સુધી કામ કરી પૂરાં કર્યાં. આ રીતે તેમના જીવનના અનેક પ્રસંગો છે. તેઓશ્રીને અંત સુધી કાર્ય કરવાની તમન્ના તથા ધગશ હતી.
પૂજ્ય ગુરુદેવ પોણોસો વર્ષ જેવી વૃદ્ધાવસ્થામાં પણ અઢાર કલાક સુધી કામ કરતા હતા. તેમની બંને આંખોના મોતિયા કઢાવ્યા હતા. છતાં પણ તેઓ સુક્ષ્મ અક્ષરો ખૂબ સારી રીતે વાંચી શકતા હતા. કાચી કાયામાં ઘડપણ આવ્યું હતું. પણ એમનું કાર્યબળ જુવાનને પ્રેરણા આપે તેવું હતું. જીવનમાં કીર્તિની લાલસા કદી કરી ન હતી. માન કે મોટાઈ તેમને આકર્ષી શકતાં ન હતાં. તેઓશ્રી ખૂબ સરળ અને નિખાલસ હતા. તેઓ સંશોધન કરતા હોય ત્યારે કાર્યમાં એવા એકાકાર થઈ ગયા હોય કે અમારા જેવા જઈને બેસીએ, ત્યારે પાંચ-દશ મિનિટ સુધી તો એમને ખબર જ પડતી નહિ ! નજર પડતાં પોતાનું કાર્ય એક તરફ મૂકીને અમોને કાંઈ ને કાંઈ ઉપદેશ આંપતા.
આવા જ્ઞાનજ્યોતિ, આગમપ્રભાકર, આગમોના ખજાનચી જગતની સૃષ્ટિમાં શોધ્યા મળે તેમ નથી. તેઓ નામ અને કામથી અમર બની ગયા છે. એમનો મહાન આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમને ધર્મને માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપે, એ જ અંતરની અભ્યર્થના.
185
Jain Education International
For Private & Personal Use Only
શ્રી પુણ્યચરિત્રમ્
www.jainelibrary.org