________________
અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ ધર્મ પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું અને એથી એમના પ્રત્યે હું ઘણો જ ઋણી છું.
પૂજ્ય મહારાજ સાહેબ સાથેનો મારો પરિચય લગભગ દોઢ દાયકાનો છે. એમનાં પહેલવહેલાં દર્શન કર્યાં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિઓ પણ આવી કોન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે આશ્ચર્ય થયેલું અને આપણા ‘જ્ઞાનભંડારો' વિશે પૂ. મહારાજ સાહેબે જે પ્રવચન કર્યું તે સાંભળીને તો મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો.
પૂજ્ય મહારાજ સાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ.સ.૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કોલેજની સ્થાપના થઈ અને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજ તરફથી અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરવા માટે એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો. સવારની કોલેજ હતી એટલે સમય પણ પુષ્કળ મળતો હતો. રોજ સાંજે સરિતકુંજમાં પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી પાસે જતો હતો અને એમને કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે ‘નલ-દમયંતીની કથાનો વિકાસ' એ વિષય ઉપર મહાનિબંધ લખવાના કાર્યનો હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત કરતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું સૂચન કર્યું અને એ પ્રમાણે એક દિવસ બપોરે હું જૈન સોસાયટીના ઉપાશ્રયમાં જઈ ચડચો. પૂ.મહારાજ સાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબને મારો કોઈ પરિચય ન હતો, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી અને તેથી હું અત્યંત પ્રભાવિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપ્યો અને તે ને તે જ વખતે એમણે મારું કંઈપણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને રોજ ઉપાશ્રયે જવાનો મારો કાર્યક્રમ બની ગયો.
નળદમયંતીની કથા વિશેના મહાનિબંધની પૂર્વ તૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ જોઈ તેમાં સમયસુંદરકૃત ‘નલ-દવદંતી રાસ’ પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એનો અભ્યાસ કરવાનો હતો. જોકે હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું, જે પૂજ્ય મહારાજ સાહેબ પાસેથી શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ મને ઘણી સહાયતા કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શક્યું અને એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે એમના ચરણકમલમાં મેં એ અર્પણ કર્યું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓના સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજ સાહેબે જ મને પ્રવેશ કરાવ્યો અને એમની જ પ્રેરણાથી ત્યાર પછી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત ‘જંબુસ્વામી રાસ’નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું.
163
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org