________________
સુરક્ષણ માટે તૈયાર થયેલા મકાન અને અંદરની પાકી વ્યવસ્થા જોયાં ત્યારે જ મુનિશ્રીના અથાગ પરિશ્રમ અને વિદ્યોપાસનાનો ખ્યાલ મળ્યો. અવાવરુ ઘરો અને ભંડારોમાંથી એકત્ર કરેલા સહસ્રાવધિ વિષયોની વિરલ હસ્તપ્રતો અને ગ્રંથોની સુવિગતે સુચિપત્રકો તૈયાર કરી સમુચિત વ્યવસ્થાવાળા મહાલયમાં પુનઃ સ્થાપિત કરી ગુજરાતના યુગપુરુષ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના સ્મારકનું ઉદ્ઘાટન થયું તે વેળા મેં એ ગ્રંથભંડારોનું દર્શન કર્યું. ગ્રંથોની ચિત્રસામગ્રીમાં ગુજરાતની કલાનો ઈતિહાસ જોયો અને પૂર્ણ જિજ્ઞાસુભાવે મુનિશ્રીના વાર્તાલાપો સાંભળ્યા ત્યારથી જૈનાશ્રિત કલાઓનો હું ભાવિક બની ગયો; કલા દ્વારા ધર્મભાવના કેવી રીતે વિકાસ પામી છે તેનું દર્શન કરી શક્યો અને કલાની આધ્યાત્મિક પ્રકૃતિ પણ સમજી શક્યો.
પૂજ્ય પુણ્યવિજયજી જ્યારે અમદાવાદ પધારતા અને ઘણા મહિના મારા ઘરની નજીકના ઉપાશ્રયમાં નિવાસ કરતા ત્યારે કોઈ ને કોઈ સજ્જન મુલાકાતી સાથે તેમનાં દર્શને જતો તે દરેક પ્રસંગે તેમના સંશોધનની પ્રક્રિયા અને શુદ્ધિ માટે સાવધાનીની વાતો સાંભળતો; તેમાંથી તેમના પરિશ્રમ અને વિદ્વત્તાના નવા પ્રદેશોનું ભાન મેળવતો.
એકવાર તેમણે તાજેતરમાં હાથ લાગેલી ‘અંગવિદ્યા’ નામના ગ્રંથની પ્રકીર્ણ માહિતી આપવા માંડી, જેમાં મનુષ્યનાં અંગ-ઉપાંગોના ઉપરથી તેની પ્રકૃતિનું નિદાન કેમ થઈ શકે તેનું શઃસ્ર વર્ણવ્યું હતું તેને અંગે મને વિસ્મય થયું કે પ્રાચીન વિદ્વાનોએ કેવી સૂક્ષ્મતાથી પ્રત્યેક સ્વરૂપ અને લક્ષણ માટે કેવા સૂચક પર્યાયો યોજ્યા હતા. આ મોંઘેરો ગ્રંથ ઘણે ભાગે ભારતની મધ્યસ્થ સરકાર તરફથી પ્રસિદ્ધ થયો છે.
પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંરક્ષણ માટે કેવાં સાધનો આજે ઉપલબ્ધ છે તેની માહિતી તેમણે દેશપરદેશો પાસેથી મેળવી તેને પ્રયોજી છે ! તૂટી જતાં પાનાંને પ્લાસ્ટિકના અસ્તરોમાં સાચવી લેવાનું, ફોટોસ્ટેટ નકલ લેવાનું, માઈક્રોફિલ્મ કરાવી લેવાનું અને સંરક્ષણનાં સાધનો લગાડવાનું તેમનું જ્ઞાન મને આશ્ચર્યમુગ્ધ કરતું.
જૈન સંપ્રદાયની પ્રથા પ્રમાણે ઉપાશ્રયમાં રાત્રિ દીપજ્યોત રખાય નહીં, કારણ કે તેનાથી હવામાં ફરતાં અસંખ્ય જીવ-જીવાતની હિંસા થાય છે. પરંતુ મુનિશ્રીને તેમના કાર્ય માટે દિવસનો સમય ઓછો પડતો એટલે તેમણે શંકુ આકારના પૂંઠાના ભૂંગળા નીચે વીજળી ગોળો રાખી નીચે પડતા પ્રકાશથી રાતના લગભગ એક વાગ્યા સુધી તેમનું સંશોધન-લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું, જેમાં અહિંસાવ્રતનો જરાય ભંગ થવા દીધા વિના વિદ્યોપાસના અખંડ જાળવી હતી. એમણે એક પછી એક જૈન ગ્રંથભંડારોની હસ્તપ્રતોની વ્યવસ્થા કરી તેના ગ્રંથકાર અને વસ્તુવિષયની વિગતોવાળી સૂચી (કોલોફોન) તૈયાર કર્યાં છે તે એમનું યુગવર્તી મહાભારત ધર્મકાર્ય છે અને તે માટે સમગ્ર ગુજરાત તેમનું ઋણી રહેશે.
પ્રસન્નતા અને પૂર્વગ્રહરહિત અભેદભાવે વિશ્વને જોનારા મુનિવરોમાં તેઓશ્રી અનન્ય છે. તેમને ભાવપૂર્વક મારી વંદના અર્પતાં હું ધન્યતા અનુભવું છું.
143
Jain Education International
For Private & Personal Use Only
શ્રી પુણ્યચરિત્રમ્
www.jainelibrary.org