________________
શ્રાવકજીવન
૭૮
‘મારે મારું મન શુદ્ધ કરવું જ છે. મારા મનમાં અશુભ વિચાર, ગંદા વિચાર પ્રવેશે જ નહીં, એવો ઉપાય મારે કરવો છે.’ એવો તમારો નિર્ણય છે ખરો ?
સભામાંથી ; કોઈક વાર વિચાર આવે છે, નિર્ણય કરી શક્યા નથી. મહારાજશ્રી ઃ નિર્ણય જ નહીં, દૃઢ નિર્ણય કરવો પડશે. વિવિધ ભાવનાઓનું ચિંતન શરૂ કરવું પડશે. પ્રતિદિન - પ્રતિક્ષણ, આ ચિંતન તમારા મનમાં ચાલતું રહે એવો અભ્યાસ કરવો પડશે.
સભામાંથી : અમારા જીવનમાં પાપાચરણ હોય, તો પછી ભાવનાઓથી લાભ થશે ?
મહારાજશ્રી : ભાઈ મારા, પ્રવૃત્તિનું મૂળ છે વૃત્તિ. વૃત્તિ બદલાશે ત્યાં પ્રવૃત્તિ આપોઆપ બદલાઈ જશે. વૃત્તિ નહીં બદલાય, ભાવના નહીં બદલાય, તો પ્રવૃત્તિ નહીં બદલાય. ભાવનાના માર્ગ ઉપર ચાલતા રહો. થાક્યા વગર ચાલ્યા કરો. તમારી અશુભ વૃત્તિઓ બંધ થશે, શુભ વૃત્તિઓનો પ્રારંભ થશે. ભાવનાના માર્ગ ઉપર ચાલીને અનુભવ કરો. આ અનુભવ કરવાની વાત છે. માત્ર બોલવાસાંભળવાની વાત નથી.
દુઃખી માનવોને અને જાનવરોને તમે જુઓ છો ને ? તેમને જોઈને ચિંતન કરો ઃ ‘આ જીવ સુખી થાઓ, તેમનાં દુઃખ દૂર થાઓ.’
રોગી જીવોને જુઓ છો ને ? જ્યારે જ્યારે જુઓ, ત્યારે ચિંતન કરો કે ‘આ જીવ શીઘ્ર નીરોગી બનો, નિરામય બનો.'
આત્મવિમુખ થયેલા જીવોને જોઈને વિચારો કે ‘આ જીવોનું કલ્યાણ થાઓ. તેમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાઓ.'
પાપોને છોડવાનો ઉપદેશ આપ્યા પછી પણ જે લોકો પાપત્યાગ નથી કરતા એવા જીવો પ્રત્યે ચિંતન કરો કે “આ જીવો પાપ ન કરે, પાપનો ત્યાગ કરે, જેથી તેમને પાપોનું ફળ-દુઃખ ભોગવવું ન પડે.’
ઉપસંહાર :
::
ગૃહસ્થજીવન અનેક વિષમતાઓથી ભરેલું છે. અનેક આંતરબાહ્ય દ્વન્દ્વોથી ભરેલું છે. આવા ગૃહસ્થજીવનમાં પણ શાન્તિ, સમતા અને સમાધિ પામવા માટે આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે ભાવનાઓનો. ભાવનાઓથી આત્માને લાગેલાં પ્રગાઢ કર્મોનો નાશ થઈ જાય છે. જેમ જેમ આત્મા કર્મમુક્ત થતો જાય છે, તેમ તેમ મોક્ષની નિકટતા આવતી જાય છે. ભાવનાઓથી મન પ્રસન્નતા પામે છે. સદૈવ પ્રસન્નતા અને પ્રફુલ્લતા ટકાવી રાખવા માટે ભાવનાઓનો સાક્ષાત્કાર કરવો જ પડશે. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org