________________
ભાગ ૩
૧૫
શ્રેષ્ઠ ઉપાય છે પરમાત્મપ્રીતિ ! પરમાત્મા પ્રત્યે સ્નેહ બાંધી દેવો જોઈએ. સ્નેહ બંધાઈ જશે ત્યારે પૂજામાં, ભક્તિમાં આનંદ આવશે. એ આનંદ તમારી માનસિક વ્યગ્રતા, ઉગ્રતા વગેરે વિકૃતિઓને દૂર કરી દેશે.
આમેય મુનિરાજને ભિક્ષા આપતી વખતે તમારું ચિત્ત ઉલ્લાસપૂર્ણ હોવું જોઈએ. ચિત્ત ત્યારે જ ઉલ્લસિત હશે કે જ્યારે તમારા હૃદયમાં મુનિરાજ પ્રત્યે સ્નેહ હશે, પ્રીતિ હશે. ‘સાધુતા’ તમને પ્રિય હશે, ‘સાધુતા' તમારો આદર્શ હશે, સાધુ માટે પ્રેમ હશે, તો સાધુને ભિક્ષા આપવામાં આનંદ અનુભવશો જ.
સાધુ પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ ગુણોના માધ્યમથી, બીજું કોઈ માધ્યમ ન હોવું જોઈએ. સાધુનું દર્શન પણ ગુણોના માધ્યમથી કરતા રહો. સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર..... આ ગુણોના માધ્યમથી સાધુઓનાં દર્શન કરતા રહો.
માની લો કે આ ગુણો કોઈ સાધુમાં નથી અથવા અલ્પ પ્રમાણમાં છે, તો પણ તેમાં તમે ગુણોનું આરોપણ કરીને દર્શન કરતા રહો. પથ્થરની મૂર્તિમાં આપણે ગુણોનું આરોપણ કરીને તેને પરમાત્મા માનીએ છીએ, ગુરુ માની શકીએ છીએ, તો જીવંત વ્યક્તિમાં, જીવંત મનુષ્યમાં ગુણોનું આરોપણ કરીને તેનાં પ્રેમથી દર્શન ન કરી શકીએ ? અને ગુણોને આંખોથી તો જોઈ શકાતા નથી ! ગુણ જોવા માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ, ગુણદ્રષ્ટિ જોઈએ. દોષદૃષ્ટિવાળા માણસો તો ગુણવાન પુરુષોમાં પણ દોષદર્શન કરે છે, દોષારોપણ કરે છે.
ગુણોનું આરોપણ કરો :
હું તમને એ પૂછવા ઇચ્છું છું કે જો તમે મનુષ્યમાં દોષનું આરોપણ કરીને તેનો તિરસ્કાર કરી શકતા હો, તો પછી માણસમાં ગુણનું આરોપણ કરીને તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કેમ નથી કરી શકતા ? જરૂર કરી શકો. પરંતુ તમારા ચિત્તમાં આ વાત જ નથી આવતી. સાધુઓમાં ૨૭ ગુણોનું આરોપણ કરીને તેમનું દર્શન કરો, તેમને ભિક્ષા આપો. જિનમૂર્તિમાં તીર્થંકરના ૧૨ ગુણોનું આરોપણ કરો છો એ રીતે સાધુપુરુષોમાં ૨૭ ગુણોનું આરોપણ કરો.
જો તમને ૨૭ ગુણોનાં નામ ખ્યાલમાં ન હોય તો કોઈ વાંધો નથી, ૧૭ ગુણોનું આરોપણ કરો.
-
સાધુપુરુષ પાંચ આસ્રવોથી વિરત છે.
સાધુપુરુષ પાંચ ઇન્દ્રિયોના વિજેતા છે.
સાધુપુરુષ ચાર કષાયનો નિગ્રહ કરનારા છે.
સાધુપુરુષ મન-વચન-કાયાના ત્રણ દંડથી વિરત છે. સમજ્યા ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org