________________
ભાગ ૩
૧૦૫
મેં તેને બે-ત્રણ વાર કહ્યું કે ધીરે ધીરે દબાવ, પરંતુ સાંભળે કોણ ? થોડીક વાર પછી ‘કટાક્’ કરતો અવાજ આવ્યો. મારો એક પગ તૂટી ગયો હતો. મારા મુખમાંથી ચીસ નીકળી ગઈ. મેં મારા પગ એ જડ ભક્ત પાસેથી છોડાવી દીધા, ડૉક્ટર બોલાવીને પાટો બંધાવી દીધો. ત્યારથી મેં કોઈ પણ ગૃહસ્થ પાસે - અપરિચિત ગૃહસ્થ પાસે પગ દબાવવા બંધ કરી દીધા છે.’
આને કહે છે અવિવેક. વિશ્રામણા કરનારો વિવેકી હોવો જોઈએ. હવે એક અતિ દુઃખદ ઘટના કહું છું.
એક ગામમાં એક એકલા મુનિરાજ ગયા. સંજોગવસાત્ એકલા જ થઈ ગયા હતા. સારા સંયમી તપસ્વી હતા. વર્ષમાં નવ માસ આયંબિલ કરતા હતા. અચાનક તેમને તાવ આવી ગયો. તેઓ સૂઈ ગયા. તે દિવસે તેમણે ઉપવાસ કર્યો. ભિક્ષા લેવા તેઓ જઈ શકતા ન હતા અને એકલા હતા, તેથી શ્રાવક લોકો વંદન કરવા આવ્યા ન હતા. ‘એકલા સાધુને વંદન નહીં કરવાં જોઈએ' એવો તે લોકોનો દૃઢ નિર્ણય હતો. એક પ્રકારની જડતા હતી તેમનામાં,
સભામાંથી : તો શું એકલા સાધુને વંદન કરવાં જોઈએ ?
મહારાજશ્રી : વંદના ભલે ન કરો, સેવા તો કરી શકો છો ને ! સાધુ નહીં, શ્રાવક નહીં, મનુષ્ય નહીં, પરંતુ પશુ-પક્ષી પણ બીમાર હોય તો તેમની સેવા કરવાનો ઉપદેશ તીર્થંકરોએ આપ્યો છે ! સાધુ એકલો હોય, પરંતુ બીમાર હોય તો બીજા સાધુ પણ તેમની સેવા કરે ! બીજાં કામ છોડીને બીમાર સાધુની સેવા કરવાની છે. કોઈ પણ ગચ્છ હોય, કોઈ પણ સમુદાય હોય.
એ ગામમાં અમે ગયા. એ મુનિરાજ ઉપાશ્રયના નીચેના ભાગમાં સૂતા હતા. અમે ઉપર ઊતર્યા હતા. મને ખબર પડી કે નીચે એક મુનિરાજ રોકાયેલા છે. હું એમની પાસે ગયો. મને જોઈને એમણે બે હાથ જોડીને પ્રણામ કર્યા. મને બેસવા આસન આપ્યું. તેમની આંખો લાલ હતી. શરીર શિથિલ હતું. મેં એમના હાથ મારા હાથમાં લીધા, ખૂબ તાવ હતો. મેં કહ્યું : ‘તમને તો ખૂબ તાવ છે. કેટલા દિવસથી છે ? દવા લીધી કે નહીં ?'
તેમણે માથું હલાવીને ના કહી. મેં તરત જ વંદન કરવા આવેલા એક શ્રાવકને ડૉક્ટર બોલાવી લાવવાનું કહ્યું. ડૉક્ટર આવ્યા, દવા આપી અને કહ્યું : ‘ત્રણ દિવસ સંપૂર્ણ આરામ કરવો પડશે.’ ડૉક્ટર ચાલ્યા ગયા; મેં એમને આયંબિલનું પારણું કરાવ્યું અને દવા આપી. મેં મારા સાધુઓને એ બીમાર સાધુની સેવા કરવાનું કહ્યું અને દેખભાળ રાખવાની સૂચના આપી. એ દિવસે તો મેં જાણીજોઈને તેમની સાથે વાતચીત કરી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org