________________
પ્રવચન : ૨
सद्धर्मश्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परंसंवेगमागतः
धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः द्दढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥
મહાન શ્રુતધર પરમ કૃપાનિધિ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથની અંદર ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ નિરૂપ્યો
છે.
સામાન્ય ધર્મોનું યથોચિત આચરણ કરતો મનુષ્ય જ્યારે સદ્ગુરુનો પરિચય પામે છે અને તેમનો સદ્ધર્મોપદેશ સાંભળે છે ત્યારે તેનું મિથ્યાત્વ દૂર થાય છે અને ક્રોધ વગેરે કષાયોની તીવ્રતા ઓછી થતી જાય છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો મનુષ્યને તત્ત્વબોધ પામવા દેતા નથી. સર્વજ્ઞ કથિત તત્ત્વોનો બોધ થવા દેતા નથી. આ બે પાપ તત્ત્વબોધમાં અવરોધરૂપ છે. સદ્ધર્મનો ઉપદેશ આ પાપોનો નાશ કરી શકે છે. હા, કરી શકે છે, કરે જ છે એવો નિયમ નથી. દુનિયામાં એવા જીવો પણ હોય છે કે જે તીર્થંકર-મુખેથી ઉપદેશ સાંભળતા હોય છે, છતાં પણ તેમનું મિથ્યાત્વ યથાવત્ રહે છે અને અનંતાનુબંધી કષાયો પણ એ જ સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે.
ઉપદેશનો પ્રભાવ સાપેક્ષા હોય છે. જીવોની યોગ્યતા અપેક્ષિત છે. સરળતાની યોગ્યતા જરૂરી છે. જો મનુષ્યમાં કુટિલતા-વક્રતા ન હોય અને સદ્ગુરુ-યોગ મળી જાય તો તેની ઉન્નતિ થવામાં વિલંબ થતો નથી. તેની ઉપર ધર્મોપદેશની પ્રભાવકતા અસર કરે જ છે. આઢર શેઠ અને નરવીર બંને સરળ પ્રકૃતિના જીવ હતા. તેમના હૃદયમાં ન હતું કપટ કે ન હતો દંભ. તેઓ આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી પાસે પ્રતિદિન આવતા હતા; ધર્મોપદેશ સાંભળતા હતા અને ગુરુદેવની સેવા કરતા હતા. હવે તેમનું મિથ્યાત્વ દૂર થાય છે, તેમના કષાયોની અનંતાનુબંધિતા દૂર થાય છે.
આઢરે અને નરવીરે વાસ્તવિક પરમાત્મ-સ્વરૂપને સમજી લીધું. સમ્યગ્ ગુરુતત્ત્વને ઓળખી લીધું અને સદ્ધર્મનો બોધ પ્રાપ્ત કરી લીધો. તેમના આત્મામાં તત્ત્વબોધનો પ્રકાશ પથરાયો. આચાર્યદેવે એમને જીવ, અજીવ, પુણ્ય, પાપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org