________________
(૧૪૨)
૨-૧૦-૯૮
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ઘણા દિવસોથી મેં તમને લખ્યું નથી પણ મારા કાન તો તમારા સમાચાર જાણવા માટે તમ ભણી મંડાયેલા જ હોય છે. મુનિશ્રી તરફથી ખબર મળ્યા કરે છે ને ચિંતા મટતી નથી. હમણાં ભાઈ મનોજે ખબર આપ્યા કે નબળાઈ વધી છે ને ખોરાક પણ પ્રવાહી જ લઈ શકાય છે. ધીરજ અને સહનશીલતાની કસોટીના દિવસો છે પણ તમે પાર કરી જશો એવો વિશ્વાસ છે.
આપણું મળવાનું રહી ગયું. વધુમાં મુનિશ્રી સાથેનો મેળાપ પણ ખોરંભે પડ્યો. તેમના શિષ્યો બીમાર છે. એ પણ માંદગીની પકડમાંથી હમણાં જરા મુક્ત થયા છે. “અનુસંધાનમાં આવેલું તમ બંને દ્વારા સંપાદિત “માતૃકાપ્રકરણ” વાંચી તમારી સાથે ગોઠડી માંડવાનું મન છે. જલદી સાજા-તાજા, હરતા-ફરતા થઈ જાઓ ને પછી આરામસળંગ ને પૂરો આરામ કરવા માટે નંદિગ્રામ' આવો એવી આશા રાખી બેઠો છું.
મને મનોજે વાત કરી કે હમણાં તો ભાઈ ઉત્પલ મહિનામાં થોડા દિવસો આવી જાય છે. લાંબી બિમારી વેળાએ કુટુંબીજનોની પણ કસોટી થતી રહે છે. આવા કપરા અનુભવોમાંથી પસાર થયો છું અને પ્રાર્થના તેમજ મનોબળના આધારે બહાર નીકળી શક્યો છું. તમારી માટે પણ એ દવા-સારવાર ઉપરાંતનું અનુપાન બની રહો.
ચન્દ્રકળાબહેનના મન પર સારો એવો ભાર રહેતો હશે. આપણે અહીં સાથે મળી ઉત્સવ ઊજવીએ ને સવેળા આ ભારને હળવા ફૂલ દિવસોમાં પલટાવી નાખીએ. મારાથી કાંઈ પણ થઈ શકે એવું હોય તો જરૂર લખાવશો.
ઇશા વંદન પાઠવે છે. ચન્દ્રકળાબહેનને વંદન.
તમારો મકરન્દ
સેતુબંધ
૨ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org