________________
કાળક્રમે ગોભદ્ર શેઠ ગુજરી ગયા. માતાના હાથમાં કારભાર આવ્યો. સંપત્તિ સંપત્તિને વધારે, એમ ધનની કોઈ સીમા ન રહી. માતાએ પુત્રને વધુ લાડકોડમાં ઉછેરવા માંડ્યો. રાત-દિવસ કે ટાઢતડકાનું પણ એને ભાન ન રહ્યું.
શાલિભદ્રના સ્વર્ગીય સુખની લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. એની સંપત્તિની વાહ વાહ બોલાવવા લાગ્યા. એમાંય એક બનાવે તો એની કીર્તિને અનેકગણી વધારી દીધી.
રાજગૃહમાં કંબલોનો એક વેપારી આવેલો. કંબલો બહુ કીમતી હતી. એ રત્નકંબલના નામથી ઓળખાતી. સોદાગર આખા મગધ રાજમાં ફર્યો, પાટનગર રાજગૃહમાં ફર્યો, રાજાજી પાસે ગયો, પણ સહુએ એટલી મોંઘી કંબલો ખરીદવાની પોતાની અશક્તિ દર્શાવી.
નિરાશ વેપા૨ી ફરતો ફરતો ભદ્રા શેઠાણીની હવેલી પાસે આવ્યો. શેઠાણીએ બધી કંબલો સામટી ખરીદી લીધી. વેપારી ખુશ ખુશ થતો ચાલ્યો ગયો.
આ વખતે રાજા શ્રેણિકે એક કંબલ પોતાની રાણી માટે મગાવી. વેપારીએ કહ્યું કે એ બધી તો શાલિભદ્ર શેઠની માતાએ ખરીદી લીધી છે. આપ ત્યાંથી મગાવી લો.
રાજાનો સેવક શાલિભદ્ર શેઠની હવેલીએ આવ્યો, ને એક કંબલ માટે રાજાજીની માગણી રજૂ કરી.
ભદ્રા શેઠાણીએ નમ્રતાથી કહ્યું : ‘અરે ! તમે થોડા મોડા પડ્યા. એ રત્નકંબલોનાં તો મારી પુત્રવધૂઓ માટે પગલુછણિયાં બનાવી નાખ્યાં !'
રત્નકંબલનાં પગલુછણિયાં ! રાજા શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે ખુશ થઈને, શાલિભદ્ર શેઠને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. તેઓ સંપત્તિના આ મહાન સ્વામીને જોવા માગતા હતા. પોતાનો પ્રજાજન આટલો શ્રીમંત, એનો રાજા શ્રેણિકને ભારે હર્ષ અને ગર્વ હતો.
રાજાના આમંત્રણનો જવાબ વાળતાં ભદ્રા શેઠાણીએ કહ્યું : ‘મારો પુત્ર કદી ઘરબહાર નીકળ્યો નથી. આપનું બાળક સમજી વડીલ તરીકે આપ અમારે ઘેર પધારશો તો અમે પાવન થઈશું.'
ત્યાગની હવા ૭ ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org