________________
અગ્નિભૂતિનો અગ્નિ દૂરથી જ ઠરી ગયો. અગ્નિભૂતિ ને બીજા વિદ્વાનોની સ્થિતિ, ભગવાને કહ્યું તેમ, એ હાથીના જેવી હતી : જે સોયના કાણામાંથી આખા ને આખા નીકળી ગયા, ને પૂંછડે અટકી રહ્યા હતા.
સહુએ શાસ્ત્ર વાંચ્યાં હતાં. અધ્યયન કર્યું હતું, વિવાદથી વાદસભાઓ ગજાવી હતી. બે કૂકડા જે ઝનૂનથી મરણતોલ લડે, એમ રાજસભામાં લડી, હરીફને પાડી, રાજ્યનું માનપાન મેળવ્યું હતું ! સોનાની પાલખી, રૂપાના છત્ર, ઘીની મશાલ ને ડંકાનિશાન મેળવ્યાં હતાં, પણ એ તો બધો બાહ્ય વ્યાપાર હતો !
અંતરમાં વિદ્યાનો આનંદ નહોતો, માત્ર ડંસીલું અભિમાન હતું. મન હંમેશાં સત્ય સમજવા કરતાં – પોતાની વાતને સત્ય ઠેરવવા આગ્રહી રહેતું. જ્ઞાન હોય ત્યાં શંકા હોય-શંકા તો સત્યને સ્થિર કરનારો થાંભલો છે પણ શંકા વ્યક્ત કેમ થાય ? તો તો પોતાના મોભાને ધક્કો પહોંચે ! શંકિત પણ સાચો આત્મા નમ્ર હોય. બાળક પાસેથી પણ સત્ય સ્વીકારવા તૈયાર હોવો જોઈએ. નહીં તો એક શંકા હજાર શંકા જન્માવે ! અને શંકિત હૃદયવાળો સામાને અશંકિત ક્યાંથી બનાવે ?
એવા વિદ્વાનો સામે આત્મપ્રેમની ભાષામાં ભગવાન મહાવીરે વાત કરી. હૃદય તો સૌનાં સાગરસમાં હતાં જ; ઇશારો મળતાં જ એનાં જળ જાગી ગયાં. તેઓ એક પછી એક મહાવી૨ને હરાવવા ને પોતાના પુરોગામી વિદ્વાનોને છોડાવવા આવ્યા, પણ પોતે જિતાઈને મહાવીરના પ્રેમપાશમાં સદાને માટે બંધાઈ ગયા !
દરેકના હૃદયમાં દોલાયમાન હતી નાની નાની શંકા ! એ એકેએક શંકાને પ્રેમભાવથી મહાવીરે દૂર કરી દીધી.
અગ્નિભૂતિને કહ્યું : ‘કર્મ વિશે તારી શંકા છે કે અરૂપી આત્મા સાથે રૂપી કર્મ કેવી રીતે જોડાય ? પણ આ શંકાનો જવાબ સહેલો છે. મદિરા જો આત્માના અરૂપી ચૈતન્ય પર અસર કરે છે, તો કર્મ કેમ ન કરી શકે ? નકામી માથાફોડ જેવી તત્ત્વની ચર્ચામાંથી આત્માનું કંઈ વળતું નથી, ભાઈ !' અગ્નિભૂતિ સમજી ગયા, ને મહાવીરનો સ્વીકાર કર્યો.
પૂંછડે અટકેલા હાથી ૮ ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org