________________
કૌશાંબીનો રાજા સાઢુભાઈ ! સંસા૨માં કહેવત છે, કે ‘સગપણમાં સાઢું;’ પણ અહીં તો ‘સત્યાનાશમાં સાટુ' એવું થયું.
વળી વ્યક્તિ બોલી : ‘રાજા ચેટક તો મહાયોગી મહાવીરના સંસારી મામા ! વસુમતી મહાવીરના મામાની દીકરીની દીકરી ! આહ ! લડાઈઓ કેવું સત્યાનાશ લાવે છે !'
‘પણ આવી સુકુમાર બાળાના પગમાં બેડીઓ કયા વાંકે ?' રાજાએ પ્રશ્ન કર્યો. એ પોતાના યુદ્ધકર્મથી પસ્તાઈ રહ્યો હતો.
‘એ ગુનો મારો છે. મને સજા કરો !' ધનાવહ શેઠે આંખમાં આંસુ સાથે કહ્યું, ‘હું દાસ-બજારમાંથી માગ્યાં મૂલ આપી આ છોકરીને ખરીદી લાવેલો, પણ એનો સ્વભાવ અને શીલ એવાં સુંદર કે મેં એનું નામ ચંદના રાખ્યું. મને એ પેટની દીકરી જેટલી પ્રિય હતી, પણ મારો પ્રેમ એને અનર્થકારી નીવડ્યો. મારી પત્નીએ એનો ઊંધો અર્થ કર્યો. એ કહે, શિકારીનો શિકારથી પ્રેમ કેવો ?
આ તો મને છેતરવાની ચાલબાજી છે ! એમાં બનવા કાળ હશે ને એક વાર હું બહારથી આવ્યો. ઘરમાં કોઈ નહિ, ચંદના જળ લઈને મારા પગ ધોવરાવતી હતી. એ પાણી રેડવા વાંકી વળી. એના કેશ મારા પગ પર પડ્યા. મેં હેતથી કેશ ઊંચકી ખભા પર મૂક્યા. બસ આ વાતે વિષ ઊભું કર્યું. મારી પત્ની અંદર છુપાઈને બેઠી હતી. એણે આ જોયું ને ગજબ કરી નાખ્યો. એણે મારી ગેરહાજરીમાં ચંદનાને મારી, માથે મૂંડો કરાવ્યો, પગમાં બેડી નાખી, ને ભૂખે મરવા ઓરડામાં પૂરી દીધી. ત્રણ દિવસે મને જાણ થઈ. મેં એને બહાર કાઢી. ખાવા બાકળા આપ્યા, ને બેડીઓ તોડવા માટે હું લુહારને બોલાવવા ગયો !’
‘ત્યાં પ્રભુ આવ્યા; મારો ઉદ્ધાર કર્યો !' ચંદનાએ વાત પૂરી કરી. એના મોં પર અપૂર્વ સુખની રેખાઓ તણાઈ ગઈ હતી.
આમ લોકોને અંતસ્તાપ કરતા મૂકીને મહાયોગી ધીરેધીરે મેદની વચ્ચેથી સરી ગયા, પણ સહુ કોઈ માટે એક અમૂલો બોધપાઠ મૂકી ગયા.
જલમેં મીન પિયાસી ૭ ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org