________________
રાજા દધિવાહન માર્યો ગયો હતો. રાજા શતાનિકે આજ્ઞા કરી કે શત્રુની નગરીમાંથી જે લેવાય તે લેવું.
જીતેલા રાજાના સૈનિકોએ, હારેલા રાજાની પ્રજા સાથે ઢોર જેવો વર્તાવ શરૂ કર્યો. સુંદર સ્ત્રીઓ, સોનું-રૂપું, મણિ માણેક જે આવ્યું તે ઉપાડ્યું. એ લૂંટના માલથી કૌશાંબી નગરી અત્યારે વૈભવશાળી દેખાતી હતી.
લૂંટનું નામ પડ્યું, પછી માણસ કંઈ મૂકે ? કૌશાંબીના એક હિંમતવાન ઊંટસવારે ચંપાની રાણી અને રાજ કુંવરીને જ ઉપાડ્યાં. એણે સહુનાં સાંભળતાં કહ્યું : “આ લૂંટના માલમાંથી મને જે રાણી મળી છે, અને હું પરણીશ. આ રાજકુંવરીને ગુલામ-બજારમાં વેચી દઈશ.” આવા નિર્લજ્જ કથનની સામે પણ કોઈ સારા માણસે વિરોધ ન નોંધાવ્યો.
ચંપાના રાજાની રાણી તો સતી સ્ત્રી હતી. એ ત્યાં ને ત્યાં જીભ કરડીને મરી. આથી ઊંટસવાર નિરાશ થયો અને એણે રાજકુંવરીને ગુલામ-બજારમાં વેચી નાખી.
આવાં મોટકાં પાપવાળી કૌશાંબીની શેરીઓમાં મહાયોગી મહાવીર ઘૂમે છે, ભિક્ષા માટે ઘૂમે છે. ઘેર ઘેરથી લોકો ભિક્ષા માટે આગ્રહ કરે છે, પણ મહાવીર ભિક્ષા લેતા નથી ! આમ તો સામાન્ય રીતે મહાયોગી પખવાડિયે- બે પખવાડિયે કે મહિને બે મહિને ભિક્ષા લેવા નીકળતા. કોઈ વાર ચાર મહિને પણ નીકળતા, પણ જ્યારે નીકળતા ત્યારે યોગ્ય ભિક્ષા જરૂર સ્વીકારતા. પણ આ નગરીમાં તો તેઓ હરરોજ ભિક્ષાની અપેક્ષાએ આવે છે, ઘેર ઘેર એ ઇચ્છાથી ફરે છે, ને પછી ભિક્ષા લીધા વિના પાછા ફરે છે.
આ રીતે એક મહિનો ને એક પક્ષ, બે મહિના ને એક પક્ષ, ચાર મહિના ને એક પક્ષ, પાંચ મહિના ને એક પક્ષ વીતી ગયા. મહાયોગી પ્રતિદિન ભિક્ષા માટે આવે, ને ભિક્ષા લીધા વિના પાછા ફરે.
અત્યારે તો નગરી વિજયના માલથી સભર છે. માગો તે મળે તેમ છે; ને મહાયોગી કેમ કંઈ લેતા નથી ? આ તો ભર્યા સાગરમાં માછલી તરસી, એવું થયું. જરૂર તેમની કોઈ અનેરી અપેક્ષા હોવી જોઈએ, કોઈ અનેરો અભિગ્રહ હોવો જોઈએ. સહુ વિચારવા લાગ્યા. કૌશાંબીની પ્રજા એ જાણવા તળે-ઉપર થઈ રહી. જલમેં મીન પિયાસી # ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org