________________
૨૮
જલમેં મીન પિયાસી
પોષ મહિનાની અંધારી એકમ હતી. મેઢક ગામથી વિહાર કરીને મહાયોગી મહાવીર કૌશાંબીમાં પધાર્યા હતા. હજીય નાના-મોટા ઉપસર્ગો એમનો કેડો છોડતા નહોતા. છેલ્લા ગામમાં એક ગોવાળે એમને ચામડાની વાધરીથી ફટકાર્યા હતા !
પણ આ આત્મયોગી એમ હારે એવા ક્યાં હતા ? એમની એક એક હાર એમની જીતનાં ડંકાનિશાન વગાડતી હતી. આજે વળી તેઓ એક નવી ભૂમિકામાં પ્રવેશ્યા હતા. જે રાજ કુળોમાંથી પોતે નીકળી આવ્યા હતા, એ રાજકુળોમાં યુદ્ધ સદાનાં થયાં હતાં. જર, જમીન કે જુવતી- ત્રણમાંથી નાનું કે મોટું કોઈ કારણ મળ્યું, કે ખૂનખાર લડાઈઓ જાગી જ છે ! લોહી રેડવાનો આ ધંધો નિતનો થઈ પડ્યો હતો. અનાથ અબળાઓ અને નિરાધાર બાળકોના હાયકારાથી દેશદેશના સીમાડા કાંપી ઊઠ્યા હતા.
સબળો નબળીને ખાય, એ જાણે નીતિ બની ગઈ હતી. એમાં ડાહ્યા માણસોને પણ કંઈ કહેવા જેવું નહોતું. ઘણા માણસો ભેગા થઈને પોતાનાથી અલ્પ જનોને ચગદી નાખે, એ જાણે મહાન રાજકીય વિજય ગણાતો. પ્રજાઓ એ ખૂની વિજયો પર વારી જતી. દરેક દેશ શત્રુઓનાં શબોની ફૂલવાડી રચી, એના પર પોતાનો વિજયસ્તંભ રોપતો.
કૌશાંબીના રાજા શતાનિકે હમણાં એવો વિજયસ્તંભ રોપ્યો હતો. એણે પાસે આવેલા અંગ દેશની પાટનગરી ચંપા પર ભયંકર ચઢાઈ કરી હતી. એનો
૧૪૦ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org