________________
અણદીઠ ભૂમિ ખેડવા અને અજાણ્યા સીમાડાના તાગ લેવા બંને નીકળ્યા છે. અહિંસા ને પ્રેમની મૂર્તિ બનીને એ ત્યાં જઈ રહ્યા છે. કુશળ ગારુડીને ગમે તેવા નાગનો ભય લાગતો નથી, એમ માનવતાના આ મહેરામણને દુનિયાની દુષ્ટતાની લેશમાત્ર ચિતા નથી. - આર્ય ભૂમિમાં ઠેર ઠેર ભમ્યા, પણ કંઈક ધર્મભાવવાળા પ્રદેશોએ ને પરિચિત માણસોએ એમના આત્મબળની પૂરી કસોટી થવા ન દીધી. આ માટે તેમણે આ કઠોર ભૂમિ પર પગેરાં પાડ્યાં છે ! ત્રણ વાતની એમને શોધ કરવાની છે. અહિંસારૂપી સુવર્ણની ! સમતારૂપી મોતીની ! નિર્મમત્વરૂપી માણેકની !
ગાઢ વન ચારેકોર વિસ્તરેલાં છે. થોડી વારમાં દિશાઓ વાવાઝોડાંથી અંધ બની ગઈ. પવનની સાથે રાતા મોંવાળી કીડીઓનો વરસાદ વરસી રહ્યો. આખા દેહ પર કીડીઓનું જાળું બાકી રહ્યું. થોડી વારમાં પ્રતિવાત વાયો, ને લોહી પીને ધરાયેલી કીડીઓનું વાદળ બીજી દિશામાં ચાલ્યું ગયું. - ગુરુ-શિષ્ય એકબીજા સામે જોયું, એકબીજાના દેહ સામે જોયું. દેહ આખો ચાળણી જેવો વીંધાઈ ગયો હતો. રક્તના લાલ રંગે એમાં રંગોળી પૂરી હતી. કેવી દેહશોભા ! બંનેએ મોં મલકાવ્યું ને આગળ વધ્યા.
એટલામાં પહાડના ઢોળાવ પરથી કૂતરાઓ દોડતા આવ્યા. આવ્યા એવા બંનેના દેહ પર બે ચાર બટકાં ભરીને, સોપારી જેવડા માંસના કટકા મોંમાં મૂકી, ઉતાવળા ઉતાવળા આગળ દોડી ગયા.
આર્ય ગોશાલકે મહાગુરુને કહ્યું : “આ શ્વાનોને નિવારવા એકાદ દંડ હાથમાં રાખીશું ?'
શ્રમણ મહાવીર બોલ્યા : “દંડ રાખીએ કે શસ્ત્ર રાખીએ, બંનેમાં ભાવના સરખી છે. કંઈ પણ પ્રતિકારનું સાધન રાખીશું, અરે, મુખેથી “હઈડ' તેવો ઉચ્ચાર પણ કરીશું, તો આપણી અહિંસાની પ્રતિજ્ઞા તૂટશે, શરીર પરની મમતા પ્રગટ થશે ને દુઃખને સમભાવે વેદવાની શક્તિનો ઉપહાસ થશે.”
“તો શું કરીશું ?' આર્ય ગોશાલકે પ્રશ્ન કર્યો.
નિર્મમત્વ ! નિર્વેદ ! કોઈ આપણને કરડતું નથી, કોઈ આપણને કરડી શકે નહિ, એ ભાવના ભાવો. કોઈ આપણું શત્રુ નથી, કોઈ આપણને છેદતું
૧૨૦ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org