________________
મહાવીર બોલ્યા : ‘એ પાર્શ્વ સંપ્રદાયના સાધુઓ છે.'
સ્વભાવની પ્રકૃતિગત તીખાશ અને પોતાના મતનો આવેશ સાધક શિષ્ય ગોશાલકમાં વારંવાર પ્રગટ થતા. ગુરુ પણ સાધક શિષ્યનો આવેશ અને તીખાશ દૂર કરવા મૂંગા મૂંગા નવા નવા પ્રયોગો કરતા.
સત્યની ભાષા મૌન છે, એ શિષ્યને દર્શાવવા બંને જણા મૌન લઈ એક સ્થળે ધ્યાનમાં રહ્યા.
સરહંદ પરનું એ સ્થળ હતું. ચોરો, જકાતખોરો ને જાસૂસોનો સદાકાળ ત્યાં ભય રહેતો. એક કોટવાળ સિપાહીઓની ટુકડી સાથે, આ પ્રદેશની રક્ષા માટે રહેતો. એણે એકાંત સ્થળમાં ચૂપચાપ બેઠેલા આ બે જુવાનિયાઓને જોયા. કોટવાળે બંનેને પકડ્યા ને પૂછ્યું :
‘કોણ છો તમે ? ક્યાંથી આવો છો ?’
બંને મૌનની પ્રતિજ્ઞાવાળા હતા. પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન તૂટે ! બંનેમાંથી એકેયે જવાબ ન વાળ્યો.
‘પક્કા જાસૂસ લાગે છે !' કોટવાળે કહ્યું ને સિપાઈઓને આજ્ઞા કરી કે ‘એ બંનેની બોબડી બંધ છે, એને ખોલવાનો ઉપાય કરવો જોઈશે. બંનેને કૂવામાં ઊંધે માથે ટાંગીને ડૂબકીઓ ખવરાવો. જોઈએ, એમની બોબડી ખૂલે છે કે નહિ ?'
આજ્ઞાનો તરત અમલ થયો. બંનેને દોરડાં બાંધી કૂવામાં ટાંગવામાં આવ્યા, પણ બંનેનું મૌન અખંડિત રહ્યું. એ વખતે સોમા અને જયન્તી નામની ભિક્ષુણીઓ ત્યાં થઈને નીકળી. તેઓએ રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે મહાવીર વર્ધમાનને ઓળખાવ્યા. કોટવાળ શરમિંદો પડ્યો ને તેમને મુક્ત કરીને ચાલ્યો ગયો.
ગુરુ અને શિષ્ય મુક્ત થયા. ગુરુએ પ્રસન્ન વદને શિષ્યને પ્રશ્ન કર્યો : ‘વત્સ ! તું કેવી રીતે આવી વિપત્તિમાં પણ મૌન જાળવી રહ્યો ?'
શિષ્યે કહ્યું : ‘ગુરુદેવ ! મને આપના વિશે વિશ્વાસ હતો. મને સંપૂર્ણ ખાતરી હતી, કે જ્યાં સુધી હું આપની સાથે છું, ત્યાં સુધી કોઈ મારું અનિષ્ટ નહીં કરી શકે !'
Jain Education International
For Private & Personal Use Only
૧૧૬ - ભગવાન મહાવીર
www.jainelibrary.org