________________
આ વાત પર વખત વીતી ગયો. એક દિવસ આશ્રમમાં મણઝર સાપ દેખાયો. એક તાપસને ડસ્યો. બીજે દિવસે આશ્રમની ગાયોને ડસ્યો. બધા એને પકડવા તૈયાર થયા, તો જે પકડવા આવ્યા અને જોતજોતામાં ત્યાં ને ત્યાં ભૂ પીતા કર્યા. એની નજરનું ઝેર એટલું કાતિલ ! એક રાજાના કુંવર નીકળ્યો. એનેય એ ડસ્યો. વણજારાની તો જેટલી પોઠો અહીંથી પસાર થાય, એમાંથી બેચાર માણસ તો અહીં સદાને માટે રહી જાય !
થોડા દિવસે આશ્રમ ઉજ્જડ થઈ ગયો. થોડે દિવસે વાટ સૂની પડી. લોકો કહેવા લાગ્યા, કે પેલો ગુસ્સેબાજ કૌશિક મરીને આ સાપ સરજાયો. આ આશ્રમ પર એને મમત્વ હતું, માટે અહીં જ જન્મ્યો. મમતા એવી વસ્તુ છે. ને ક્રોધી હતો માટે નાગ જ સરજાય ને ! નાગ જેવું ક્રોધી બીજું કયું પ્રાણી છે ? સહેજ વાતમાં પ્રાણ હરી લેનારું !”
ગોવાળોએ પોતાની વાત પૂરી કરતાં સારાંશમાં કહ્યું : “માટે મહારાજ, આ ટૂંકો માર્ગ ભલે હોય, પણ સરવાળે લાંબો છે. આપ આ બીજે રસ્તે નિર્વિઘ્ન આગળ વધો.”
ગોપલોકો વાત કરતા હતા, ત્યાં સુધી મહાવીર શાંતિથી સાંભળતા ઊભા હતા. વાત પૂરી થઈ, કે તેઓએ આગળ વધવા કદમ ઉઠાવ્યાં.
કદમ તો ઉઠાવ્યાં, પણ પેલા કુત્સિત માર્ગ તરફ જ !
ગોપલોકો ફરી કાગારોળ કરી ઊઠ્યા : “અરે ભલા માણસ ! હાથે કરીને મરવા કાં જાઓ ! યમના દરવાજેથી કોણ પાછું ફર્યું છે ?”
પણ મહાવીર તો આગળ જ વધ્યા. ક્ષણ પહેલાં ગોવાળોની બધી વાત સાંભળતા હતા, ને ક્ષણમાં જાણે સાવ બહેરા બની ગયા. ભોળા, પ્રેમાળ ગામડિયા કહેવા લાગ્યા :
“અરે ભલા માણસ ! માબાપથી રિસાયો હો તો ચાલ, તારાં મનામણાં કરી દઈએ. કોઈ પ્રેમિકાની પાછળ યોગ ધર્યો હોય તો ચાલ, એનું મનડું મનાવીએ. અરે ! દરિદ્રતાથી પીડાતા હો તો એક એક ગાડરું ને એક એક ગા કાઢી આપીએ. માલ ચારજે ને મોજ કરજે ! પાવો વાજે ને પદમડી વહુ પરણજે ! પણ હાથે કરીને મોતના મોંમાં ન જા. તું જાય છે, ને અમારા દિલને કંઈ કંઈ થઈ જાય છે !”
૮ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org