________________
‘સિંહની શ્રેષ્ઠતા મૃગલાને મારવામાં નથી, વનહસ્તીને હરાવવામાં છે !’ મહાપ્રલયંકરી પવનની પ્રબળતા તરણાંને તોડવામાં નથી, પણ પહાડોને કંપાવવામાં છે.’
મહાબલી બાહુબલ ન માન્યો તો ! ભાઈનું અંતર એને ક્ષમા આપવા તલસી રહેશે; પણ રાજપદ એને કઠોર દંડ આપવાનો આદેશ કરશે. ત્યારે ભરત, તું શું કરીશ ?
ચક્રવર્તી સફાળા પલંગ પર બેઠા થઈ ગયા. એમનું વજ્રહૃદય આછું કંપન અનુભવી રહ્યું. વાહ રે સંસાર ! જે હૃદય વજ્રથીય કઠોર મનાતું હતું, એ સાવ પાણીપોચું છે, એની પ્રતીતિ આ દૃશ્ય જોનારને તરત જ થાય !
ડૂબતો માનવી તણખલાને પકડે તેમ, ચક્રવર્તી વ્યગ્રતામાં પાસે સૂતેલાં પટરાણી પર નજર નાખી રહ્યા. આહ ! કેવું માનવશ્રેષ્ઠ રૂપ ! પોતાની પાસે જ એ હાજર છે, ને છતાં પોતે કેવો અજંપો વેઠે છે ! અરે ! આ માદક સૌંદર્ય તો સંસારનાં સર્વ તાપ-દુઃખ એક પળમાં શમાવી શકે તેવું છે; ને છતાં ચક્રવર્તી આટલા નિરાધાર કેમ બની ગયા ?
સરયૂતટ પર મધરાતનો વગડાઉ શીળો પવન ફૂંકાતો હતો; ગાત્રોને શીતળ બનાવતો હતો. ઊંઘમાં મહાદેવીએ પડખું ફેરવ્યું, ને ઓઢણ માટે હસ્ત લંબાવ્યો. ત્યાં તો ચક્રવર્તી જ હાથમાં આવ્યા !
સ્ત્રીએ પુરુષને ફરી જીતી લીધો. એને હૈયાનો હાર બનાવી લીધો. ફરી રાજા-રાણી જંપી ગયાં !
સમય વેગભર્યો વહેવા લાગ્યો. પ્રભાતિયો તારો ઉગમણા આભમાં ચળકવા લાગ્યો.
રસતરસ્યાં આ રાજા-રાણીને આનંદસાગરમાં તરતાં મૂકીને બહલી દેશની વાટ તરફ વળીએ, જ્યાં પહોંચવા રાજદૂત હંસ ચક્રવર્તીનો સંદેશો લઈને પ્રસ્થાન કરી ચૂક્યો છે !
૭૨ * ભરત-બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org