________________
સ્વર્ગનાં ઇન્દ્ર-ઇન્દ્રાણી પૃથ્વીને પાટલે રમવા તો નહિ આવ્યાં હોય ?
પણ ત્યાં તો માછીના હાથમાંથી સુંવાળું માછલું સરકી જાય એમ પટરાણી સરક્યાં, પાણીનો પટ વેગથી કાપવા લાગ્યાં.
ભરતદેવે પાછળ અનુસરણ કર્યું.
હાથીવૃંદની જળક્રીડાથી જેમ જળ ક્ષુબ્ધ થઈ જાય, એમ સરયૂનાં જળ ખળભળી ઊઠ્યાં. સ્ત્રીની પાછળ પુરુષે પણ પુરુષાર્થ દાખવવા માંડ્યો. પણ સ્ત્રીની ઝડપ, એની છટા અપૂર્વ હતી.
પુરુષ વગર હારે હારી ગયો. એણે બૂમ પાડી : ‘દેવી ! હવે વધુ ન તરસાવો - વિલંબ માટે ક્ષમા !” પાણીમાંથી વેણુનો નાદ ઊઠતો હોય તેમ સામો પ્રતિસ્વર આવ્યો. ‘કબૂલ કરો કે દિવસનો અધિરાજ પુરુષ, ને રાતની રાજવણ સ્ત્રી !”
કબૂલ, રાણી, કબૂલ !” ભરતદેવે નમતું જોખ્યું. આ પછી દંપતીએ લાંબો વખત જલમાં ને નૌકામાં ક્રીડા કરી.
જલક્રીડા પછી ચક્રવર્તી રાણીને સ્કંધ પર આરૂઢ કરીને બહાર આવ્યા. એ વખતની શોભા ચિત્રકારને ચિત્ર માટે પ્રેરે તેવી હતી; કવિને કવિત્વનો ફુવારો ફૂટે તેવી હતી. નૌકાના મધ્ય ભાગમાં આવીને બંનેએ લાંબો સમય વાર્તાવિનોદ કર્યો. મોડી રાતે એ જંપી ગયાં.
પણ સિંહણની રક્ષા કરનારો સિંહ જેમ વારે વારે અનેરી આકાંક્ષાએ ઝબકી જાય, તેમ ચક્રવર્તી વારે વારે ઝબકી જતા હતા. રાણીનાં મદભર માંસલ પોપચાં પર તો નિદ્રાદેવી આવીને પોતાની બીન બજાવતી બેઠી હતી; પણ એ બીન ચક્રવર્તી પર કંઈ અસર ન કરી શકી. એમના પોપચાં વારંવાર ખૂલી જતાં હતાં. જગતને જીતનાર રાજવીના દિલમાં જાણે કોઈ ઘમસાણ યુદ્ધ ચાલતું હતું.
રે ! ભાઈ સાથે આ યુદ્ધ ! અને યુદ્ધ કરવાથી અપકીર્તિ ! અને ન કરવાથી લોકતિરસ્કાર !
જેમ ફાગણ માસ તાપ અને શીતવાળો હોય છે, એમ ચક્રવર્તીનું હૈયું રાગ ને વિરાગ અનુભવી રહ્યું :
મંત્રી રાજના એ શબ્દો વારંવાર યાદ આવતા હતા : અંધકાર હણાયો નથી. ત્યાં સુધી સૂરજ સૂરજ કેમ કહેવાય ?
અનુપમ કમળફૂલ ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org