________________
૧૦.
અનુપમ કમળકુલ
સરયૂ નદીના તટ પર, વિહારનૌકા સજ્જ પડી હતી. પટરાણી સુભદ્રા એના કૂવાથંભને અઢેલીને ઊભાં હતાં ! એમની સુંદર લાંબી પલક કોઈની રાહમાં મીંચાતી ને ઊઘડતી હતી.
આકાશી સુંદરી પોતાના શ્યામ સાળુંમાં નવલખ તારલિયાની ભાત ભરીને આવી હતી. સરયૂ એ સાળુને પોતાના પ્રવાહમાં ખેંચવા મથતી હોય એમ, એનાં તારકછાયાં મીઠાં જળ કોઈ અભિસારિકાની જેમ છાનામાના ચાલ્યાં જતાં હતાં.
હળવે પગલે જતી અભિસારિકાનાં ઝાંઝરનો ઝીણો રવ સંભળાયા કરે, એમ નિઃશબ્દ રાત્રિમાં તમરાંનો ગુંજારવ સંભળાતો હતો.
દેવી સુભદ્રા કૂવાથંભને અઢેલીને યુદ્ધે ચડેલી કો વીર રણીની જેમ ઊભાં હતાં. એમના સુંદર મુખ પર કંટાળાની ને ક્રોધની આછી રેખાઓએ તંબૂ તાણ્યા હતા.
રાત તો સમસમોટ વહી જતી હતી.
નૌકાના અગ્રભાગ પર બેઠેલી મેના-પોપટની જોડલી લાંબો પ્રેમકલહ કરી, પાંખમાં પાંખ ભિડાવી જંપી ગઈ હતી !
રાણીએ આ પંખી–યુગલ પર નજર ઠેરવી. થોડી વાર એ જોડીને એ સંતુષ્ટ ચિત્તે જોઈ રહ્યાં, ને પછી એકદમ મનમાં અજંપો જાગે તેમ બહાવરાં બની ગયાં. નૌકાના અગ્રભાગ સુધી ઉતાવળે ચાલ્યાં ગયાં, ને જેવાં ગયાં તેવાં થોડી વારમાં પાછાં ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org